Mysamachar.in-રાજકોટઃ
રાજકોટની ભાગોળે અમદાવાદ હાઇવે નજીક એક ગોજારી ઘટના બની છે, અહીં સુકી ખેતી સંશોધન કેન્દ્ર નજીક ત્રણ મહિલાને રિવર્સ આવતી ટ્રકે અડફેટે લેતા બેના કમકમાટીભર્યા મૃત્યું નીપજ્યાં હતા, જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક બંને દેરાણી-જેઠાણી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે તરઘડીયા ગામમાં રહેતાં રામુબેન તથા તેમના દેરાણી કેશુબેન અને જેઠાણી મુળીબેન રાઠોડ સુકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે મજૂરી કરતાં હોય સવારે ત્રણેય ત્યાં કામે જવા ઘરેથી નીકળ્યા હતા. ત્યારે રસ્તો ઓળંગવા માટે આ ત્રણેય દેરાણી-જેઠાણી વાહનો પસાર થઇ જાય તેની રાહ જોઇ સાઇડમાં ઉભા હતાં. એ વખતે ત્યાં ઉભેલા ટ્રક નં. પીબી 13 એએલ-5707ના ચાલકે ટ્રક રિવર્સમાં લેતાં ત્રણેય ઠોકરે ચડી જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં રામુબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના દેરાણી-જેઠાણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં કેશુબેને પણ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર રામુબેનને સંતાનમાં ચાર પુત્ર છે. જ્યારે કેશુબેનને બે પુત્ર અને બે પુત્રી છે. મજૂરી કરી ગુજરાન ચલાવતાં પરિવારમાં આ બનાવથી ગમગીની છવાઇ ગઇ છે.