Mysamachar.in-ગાંધીનગરઃ
આજે સોમવારે ગાંધીનગરમાં ધરણા દિવસ રહ્યો છે, ગાંધીનગર ખાતે વિવિધ માગણીઓને લઇને ત્રણ ત્રણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે, તેમ છતા સરકાર દ્વારા કોઇ નિર્ણય કે લાગતા વળગતા મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું નથી, છેલ્લા કેટલાક સમયથી LRDની ભરતીમાં અન્યાયને લઇને મહિલાઓ 42 દિવસથી ધરણા પર બેઠી છે, તો TAT પરીક્ષાના ઉમેદવારો પણ આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો શિક્ષકસંઘ પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે. આ ત્રણેય મુદ્દે જાણે કે રૂપાણી સરકાર અજાણ હોય તેમ કોઇ નિવેદન કે ઉકેલ લાવવાનો પ્રયાસ કરાયો ન હોય તેમ લાગી રહ્યું છે.
ગાંધીનગરમાં LRDમાં અન્યાય મામલે 42 દિવસથી ચાલી રહેલાં આંદોલનને હવે આગળ કેવી રીતે લઈ જવું છે તે નક્કી કરવું પડશે. બેઠકમાં ભાગ લેવા માટે એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલા ઉમેદવારોએ સામાજિક આગેવાનોને પણ આમંત્રણ આપ્યું છે. ટેટ 1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોને સરકારે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ ભરતી કરાશે, જો કે તેમ છતા ભરતી ન કરાતા અંતે ટેટ-1 અને ટાટ-2ના ઉમેદવારોએ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સરકાર સામે ધરણા પર ઉતર્યા હતા. જૂની પેન્શન પ્રણાલી લાગુ કરવાની માગ સહિતની માગો સાથે ધરણા કરવામાં આવ્યા હતા. પડતર માગો અને જૂની માગોને લઇને ધરણા કરવામાં આવી રહ્યા છે.