Mysamachar.in-જામનગર:
કૃષિએ આજે પણ આપણા દેશનો પ્રથમ વ્યવસાય છે. તેના વિકાસ અને વિસ્તરણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો થાય તેના થકી વધુ પાક મેળવવામાં સફળતા મળે તે માટે ગુજરાતમાં વર્ષ ૨૦૦૫થી આત્મા એટલે કે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી અમલમાં છે. આત્મા પ્રોજેક્ટના માધ્યમ થકી હાલ સુધીમાં અનેક ખેડૂતોએ આધુનિક ખેતી તરફ પગરણ માંડયા છે.વર્તમાનમાં પ્રાકૃતિક ખેતી-સજીવ ખેતી પર ભાર મૂકી વર્ષો જૂના કેમિકલગ્રસ્ત ખેતરોને તેનાથી મુક્ત કરી, ફરી નવસાધ્ય કરી મબલખ પાક મેળવવાની પહેલ થઈ રહી છે. ત્યારે કાલાવડ તાલુકાના સુમરી ગામના કિશોરભાઈ પેઢરીયા જે સજીવ ખેતીના પ્રયોગો અપનાવી આજે સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી મગફળી, કપાસ, મકાઈ, બાજરી, મગ, મઠ, અડદ જેવા અનેક પાકો મેળવે છે અને સંપૂર્ણ ગુણવત્તાલક્ષી, આરોગ્યપ્રદ, રસાયણરહિત આ પાકો મેળવી વર્ષે આશરે ત્રણ લાખની આવક મેળવે છે.
ડ્ર્રીપ ઈરીગેશન સીસ્ટમ, સજીવ ખેતી, મલ્ચીંગના પ્રયોગો કરી ખેતીમાં અનેરી સફળતા મેળવતા કિશોરભાઈ પેઢરીયા કહે છે કે, ઓછું પાણી, ગુણવત્તાલક્ષી બીજ પ્રાપ્તિ અને વીજળીની બચત સાથે વધુમાં વધુ પાક મેળવી, સંપૂર્ણ ગુણવત્તાલક્ષી ઉત્પાદન મેળવવુંએ મારુ ધ્યેય છે. સાથે જ સંપૂર્ણ ગાય આધારિત ખેતી મારા ખેતરને, મારા પાકને કેમિકલથી મુક્ત રાખે છે અને તેથી જ મારા પાક ખરીદનાર લોકોના વિશ્વાસને હું જાળવી શક્યો છું.આત્મા સાથે જોડાયેલા કિશોરભાઈ ખેતીની સતત નવી પદ્ધતિઓ, તેની નવી ટેક્નિકથી લઈ તેના માટેની નવી ટેકનોલોજીનો સતત અભ્યાસ કરતા રહે છે.
હાલમાં કિશોરભાઈ આધુનિક ખેતીથી મગ, અડદ, વાલ, ચણા, તુવેર જેવા કઠોળ, ધાણા, મરચાં, રાઈ, મેથી જેવા મસાલા, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર જેવા ધાન્ય અને મગફળી, તલ જેવા તેલીબીયાનો તેમજ શેરડી, અન્ય શાકભાજીનો સફળ અને મબલખ પાક લે છે. સાથે જ ખેતીમાં સતત નવા પ્રયોગો કરતા રહેતા કિશોરભાઈએ દાડમ, કેળા, જાંબુ, રાવણા, સીતાફળ, જામફળ, ડ્રેગન ફ્રુટ, પેસી ફ્રુટ, શેતૂર, અંજીર જેવા ફળોના વાવેતર કરી તેના સફળ પરિણામો મેળવવાની કામગીરી પણ હાલ ચાલુ કરી દીધી છે અને અન્ય ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી અને તેમાં પણ સફળ પરિણામ મેળવવાના પ્રયાસો કાર્યરત કરી દીધા છે.