Mysamachar.in-જામનગરઃ
હોસ્પિટલમાં નવજાત બાળકોના મૃત્યુને લઇને રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મહાનગર અમદાવાદ તથા રાજકોટમાં એક વર્ષમાં બાળકોના મૃત્યુના આંકડાથી ભારે ચર્ચા જાગી છે, એવામાં જામનગરમાં બાળમૃત્યુદરની ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક વર્ષમાં જામનગરની જી જી હોસ્પિટલમાં 9903 સફળ પ્રસુતિ સામે 435 બાળકોના મૃત્યું નિપજ્યા છે.તો ગત વર્ષે 9419 પ્રસુતિ સામે 404 બાળકોના મૃત્યું નિપજ્યા હતાં.આમ ચાલુ વર્ષે જન્મદર સામે મૃત્યુદરમાં પણ વધારો નોંધાયો છે. 2019ના વર્ષ દરમિયાન 10806 નવજાત શિશુઓને સારવાર આપવામાં આવી હતી. જિલ્લામાં જન્મ સમયે મૃત અવસ્થામાં જન્મતા બાળકોનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ 1 કિલો વજનથી ગંભીર પરિસ્થિતીમાં અને અધુરા મહીને જન્મેલા 22 થી વધુ બાળકોને બચાવી પણ લેવાયા હતાં.
રિપોર્ટ પ્રમાણે જામનગરમાં બાળ મૃત્યુદર પાછળનું કારણ અંગે જણાવવામાં આવ્યું કે કુલ દાખલ દર્દીઓ સામે 52 ટકાથી પણ વધારે બાળકો અધુરા મહીને જન્મવાથી કે શ્વાસો શ્વાસની તકલીફના કારણે મૃત્યુ પામ્યા હતા. તો ગંભીર પરિસ્થિતિમાં દાખલ 2984 પ્રસુતામાંથી 661 પ્રસુતાઓેને અધુરા માસે બાળકો જન્મેલા હતા. બાળકોના મૃત્યુ પાછળ હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફ, ગર્ભવતીઓને પોષણયુક્ત ખોરાક ન મળવો વગેરે બાબત જવાબદાર હોઇ શકે છે. કુપોષણ નાબૂદીની વાતો કરતાં નેતાઓ માત્ર પ્રવચનો આપી સંતુષ્ઠ થઇ રહ્યાં છે, જ્યારે ગ્રાઉન્ડ લેવલે સ્થિતિ ખૂબ જ દયનીય છે.