Mysamachar.in-જામનગરઃ
કહેવાય છે કે સૌથી મોટું દાન અંગદાન છે, સામાન્ય રીતે ઉચ્ચવર્ગ અંગદાનનું મહત્વ સારી રીતે જાણે છે, પરંતુ જામનગરના એક ગરીબ પરિવારે લીધેલો નિર્ણય અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી શકે તેમ છે. ત્રણ સંતાનોના પિતા અકસ્માત બાદ બ્રેનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો, જે માટે અમદાવાદથી ડોક્ટરોની ટીમ જામનગર આવી હતી. અને લીવર અને કિડનીનું ઓપરેશન કરી અમદાવાદ રવાના થઇ હતી. જામનગર નજીક મોટી ખાવડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાન દિનેશભાઇ વાઘેલાને બે દિવસ પહેલા રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહને ઠોકર મારતા તેને ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ બ્રેનડેડ જાહેર થતા ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યાની સ્થિતિ સર્જાઇ હતી, જો કે ડોક્ટરોની ટીમ દ્વારા દિનેશભાઇના પરિવારને અંગદાન માટે સમજાવ્યા હતા. જો કે પરિવારે હિંમ્મત દાખવી પોતાના સમાજમાં આવું ક્યારેય કોઇએ કર્યું ન હતું જેથી બધાને સમજાવવા મુશ્કેલ હતા, તેમ છતા દિનેશભાઇના બનેવીએ પરિવારને સમજાવી અંગદાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. આ અંગે દિનેશભાઇના બનેવીએ જણાવ્યું કે ડોક્ટરો દ્વારા તેમને સમજાવ્યા બાદ તેઓએ દિનેશભાઇના પરિવારજનોને સમજાવ્યા હતા. દિનેશભાઇની માતાને મેં કહ્યું કે આપણે ગરીબ હોવાથી દાનપૂણ્ય કરવા સમર્થ નથી, પરંતુ અંગદાન કરવું આપણા હાથમાં છે, અને આ બનાવ બની ગયો તેમાં આપણે અંગદાન કરી શકીએ છીએ.
અંગદાનનો નિર્ણય જાહેર કરતા હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ નંદિની બહારી, તથા સર્જરી વિભાગના વડા ડૉ સુધિર મહેતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. તો હોસ્પિટલના ડોક્ટરોની ટીમને જામનગર જિલ્લા ક્લેક્ટરના વહીવટી તંત્ર દ્વારા પણ સાથ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો, જેની મદદથી આ અંગદાન પ્રક્રિયા સફળ રીતે પૂર્ણ થઇ હતી. દિનેશભાઇની કિડની અને લિવર માટે અમદાવાદના દર્દીને જરૂર હોય ત્યાંથી તબીબોની એક ટીમ જામનગર આવી હતી. બાદમાં કિડની અને લિવરનું ઓપરેશન કરી અમદાવાદ રવાના થઇ હતી.
ઉલ્લેખનીય છે કે બ્રેનડેડ દિનેશભાઇને પરિવારમાં પત્ની અને સંતાનોમાં બે પુત્રો અને એક પુત્રી છે. આર્થિક રીતે વરવી પરિસ્થિતિમાંથી આવતા આ પરિવારે લીધેલા અંગદાન કરવાના નિર્ણયથી તેમની સમાજ તથા અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી શકે તેમ છે. બ્રેનડેડ દિનેશભાઇના અંગોથી કેટલાક લોકોને નવજીવન મળી શકે છે. ત્યારે આ અંગદાનમાં સહભાગી બનીને જામનગર ડોક્ટરોની ટીમ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.