Mysamachar.in-જામનગરઃ
જામનગર માર્કેટિંગ યાર્ડમાં ખાટલે મોટી ખોટ હોવાની કહેવત સાર્થક થતી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે મોટા ઉપાડે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરનાર સરકારે 10336 ખેડૂતો પાસેથી 24974 ક્વિન્ટલ મગફળીની ખરીદી તો કરી લીધી પરંતુ તેમાંથી માત્ર પાંચ ખેડૂતોને જ પૈસા ચૂકવવામાં આવ્યા છે. 18 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા બાદ હવે ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છતા પૈસા ચૂકવવામાં ન આવતાં ખેડૂતો મુંજવણમાં મૂકાયા છે કે હવે રવિ પાક પર કેમ ધ્યાન આપવું.
જામનગર જિલ્લામાં 18મી નવેમ્બરથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત 58586 ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 36819 ખેડૂતોને SMS કરી બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ 10336 ખેડૂતોના મગફળીના સેમ્પલ પાસ થતાં અત્યાર સુધીમાં કુલ 249774.90 ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી છે. પરંતુ મસમોટું તંત્ર અને ટેક્નોલોજી હોવા છતા 10336 ખેડૂતોમાંથી હજુ માત્ર પાંચ ખેડૂતોને જ મગફળીના પૈસા ચૂકવવામાં આવ્યા છે. મજાની વાત તો એ છે કે ખેડૂતોને મગફળીના પૈસા ઓનલાઇન ચૂકવવામાં આવે છે, તો ઓનલાઇન ચૂકવણીમાં પણ કેમ સમય લાગી રહ્યો છે ? ઉલ્લેખનીય છે કે હજુ પણ 21767 ખેડૂતોની મગફળી ખરીદવાની બાકી છે. ત્યારે આ ખેડૂતોનો ક્યારે વારો આવશે, ક્યારે પૈસાની ચૂકવણી થશે અને ક્યારે તેઓ ફરી રવિ પાક પર ધ્યાન આપી શકશે તેવા ગંભીર પ્રશ્નો સર્જાયા છે.