Mysamachar.in-વડોદરાઃ
એક તરફ રૂપાણી સરકારનો દાવો છે કે, આ સરકાર નિર્ણાયક, સંવેદનશીલ અને કામ કરતી સરકાર છે. બીજી તરફ, ભાજપના ધારાસભ્યો હવે ખુલ્લેઆમ આરોપ લગાવી રહ્યાં છે કે પ્રજાલક્ષી કામો થતાં જ નથી. પહેલીવાર નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગઢમાં ભાજપમાં ગાબડાં પડ્યા છે. નેતાઓના શિસ્તની વાતો કરનારા ભાજપમાં પહેલીવાર ફૂટ સામે આવી છે, અત્યાર સુધી ધારાસભ્યો પક્ષમાં જ રહીને વાત કરતાં હતાં પણ હવે ખુલ્લેઆમ આંતરિક રોષ ભભૂકીને બહાર આવી રહ્યો છે. પહેલા ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના મતવિસ્તારમાં કામો થતાં ન હોવાનો આરોપ લગાવ્યો હતો, જો કે પાર્ટીને આમ-તેમ કરી તેઓને માંડ મનાવ્યા છે, તો હવે વાઘોડિયાની સીટ પરથી છ વખતથી ચૂંટાઇ આવતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલ વિભાગમાં જનતાના કામો થતાં ન હોવાનો રોષ ઠાલવ્યો છે.
ઇન્ટરવ્યૂમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે “લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના મતવિસ્તારના કામો લઈ જાય છે તે થાય છે અને નથી પણ થતા. શહેરના મહાદેવ તળાવ વિસ્તારમાં મેં બજરંગબલીની સ્ટિલની મૂર્તિ મૂકવાનો નિર્ધાર કર્યો છે. મેં કોન્ટ્રાક્ટરને પણ પૈસા ચૂકવ્યા છે. મૂર્તિના 80 લાખ રૂપિયા પણ ચુકવી દીધા છે. મારૂં 40 ટકા કામ થઈ ગયું છે. વડોદરા કોર્પોરેશન, કલેક્ટરે મંજૂરી આપી છે. ગાંધીનગર અભિપ્રાય માટે ફાઇલ મોકલી છે. મંત્રી મને કે છે મંજૂરી કરી આપીશ, મેં છેલ્લે મંત્રીને કહ્યું કે મારી પોતાની ફાઇલ નથી કે સંપત્તિની ફાઇલ નથી. હું છેલ્લીવાર તમને કેવા આવ્યો છું. તમે મંજૂર કરો કે ન કરો તો હું ધર્મનું કામ લઈને બેઠો છું શ્વાસ ચાલશે ત્યાં સુધી ધર્મનું કામ કરીશ તમે મંજૂર નહીં કરો તો પણ મૂર્તિ મૂકીશ. આ મધુશ્રીવાસ્તવ છે. મારે ધર્મનું કામ કરવાનું છે. હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી ધર્મનું કામ કરતો રહીશ. તમે મંજૂરી આપો કે ન આપો. પરમિશન ન આપે તો મારૂ રાજીનામું આપી દઈશ”