Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકાર સામે વિવિધ પડતર માંગણીઓને લઈને તાજેતરમાં નાયબ મામલતદારોએ રજૂઆત અને ધરણા સહિતના રાજ્યવ્યાપી કાર્યક્રમો આપ્યા હતા, ત્યારે હવે પાણી પુરવઠા બોર્ડના અંદાજીત ૭૦૦૦ જેટલા રોજમદાર-વર્કચાર્જ કર્મચારીઓ-અધિકારીઓ તેમની માંગણીઓ લઈ વારંવાર સરકારમાં મુખ્યમંત્રીને આવેદનપત્રો આપી રજૂઆતો કરવામાં આવેલ છે, અને સરકારના નાયબ મુખ્યમંત્રી કે જેમની પાસે નાણાં વિભાગ છે પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓની માંગણીઓ નાણાને લગત હોય હોદ્દેદારો વારંવાર નિતીનભાઈ પટેલની મુલાકાત લઈ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન લાવતા પાણી પુરવઠા બોર્ડના તમામ રોજમદાર-વર્કચાર્જ કર્મચારી-અધિકારીઑ આક્રમક મૂડ બનાવી આંદોલન કરવાની તૈયારી કરી દેવામાં આવી છે,અને તેનો કાર્યક્રમ પણ આયોજિત કરી દેવામાં આવ્યાનું પ્રમુખ પ્રવિણ સુતરીયા, ઉપપ્રમુખ દિલીપસિંહ એચ.જેઠવા,વિષ્ણુપ્રસાદ ડી.મેવાડા, મહામંત્રી કેતન વી.ચૌધરીની અખબારી યાદીમાં જણાવાયું છે,
:આ છે પડતર માંગણીઓ:
– તા.1-1-2016 થી તા.31-7-2017 સુધીના 19 મહિનાનું સાતમું પગાર પંચનું એરિયર્સ રોકડમાં ચૂકવવું.
– સરકારના નિયમોનુસાર 20 લાખ નિવૃતિ સમયે ગ્રેજ્યુઇટી આપવી.
– 20 વર્ષની નોકરી પૂર્ણ કરી સ્વેચ્છીક નિવૃતિ માંગતા કર્મચારીને 300 રજાનો પગાર(હયાત રજા)ચૂકવવો, રાજીનામું ગણવું નહીં.
– વહીવટ/ ટેક્નીક્લ કેડરમાં બઢતીઓ આપવી તેમજ ખાલી જગ્યાઓ સત્વરે ભરવી.
– સામાન્ય વહીવટના તા.22-8-2014 ના પરિપત્રો અમલ કરવો.
– નામદાર હાઇકોર્ટના અલગ અલગ ચુકાદા અન્વયે પેન્શન યોજનાનો અમલ કરવો.
– વર્કચાર્જ કર્મચારીઓને હંગામી કરવા.
– રોજમદાર કર્મચારીઓને નિવૃતિ સમયે 300 રજાનો પગાર તથા અન્ય લાભો આપવા.
:આંદોલનની તારીખ મુજબ કાર્યક્રમ:
– તા. 1-9-2019થી તા.15-9-2019 દરમ્યાન દરેક રોજમદાર-વર્કચાર્જ કર્મચારી/અધિકારી વર્ક ટુ રૂલ(કચેરી સમય 10.30 થી 6.30 સુધી જ કચેરીમાં કામગીરી કરશે.)
– તા. 16-9-2019 ના રોજ તમામ કર્મચારી/અધિકારીઑની પાસે વધારાના તમામ ચાર્જ છોડી દેશે.(જેનાથી કામગીરી ઉપર ખૂબ જ અસર પડશે)
– તા.17-9-2019 ના રોજ રાજ્યના પાણી પુરવઠા બોર્ડના તમામ કર્મચારી/અધિકારી માસ સી.એલ. ઉપર જશે.(આ દિવસે ગુજરાતનો પાણી પુરવઠો બંધ રહેશે.)
– તા. 25-9-2019 થી રાજ્યના પાણી પુરવઠા બોર્ડના તમામ રોજમદાર-વર્કચાર્જ કર્મચારી/અધિકારી અનિશ્ચિત હડતાલ કરશે.