જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દ્વારકા જિલ્લામા સરકારની વીજમાફી યોજનાના રહસ્યમય સુરસુરીયુ થયુ છે, જેનુ રહસ્ય વીજ વિભાગના એ અધિકારીઓ જાણે છે, જેમને જે તે વખતે આ વીજચોરીઓના કેસોમાંથી અમુક લાગતા વળગતા માટે ખેલ પાડેલા હતા, રાજય સરકારની વીજબીલ માફી યોજના અન્વયે હાલારમાં રૂ.36.82 કરોડની રકમ માફ કરવામાં આવી છે.પરંતુ બંને જિલ્લાના કુલ 40820 માં થી ફકત 12092 લાભાર્થીએ યોજનાનો લાભ લેતા યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો છે.
હાલારમાં રૂ.977.63 લાખની માફી સાથે દ્વારકા ડીવીઝન પ્રથમ રહ્યું છે. રાજય સરકાર દ્વારા ગત તા.19/2/2019 ના વીજબીલ માફી યોજના જાહેર કરી હતી. જેમાં શહેરી વિસ્તારમાં અને નગરપાલિકામાં બીપીએલ કાર્ડધારકો કે જેમના વીજકનેકશન કાયમી ધોરણે કપાયેલા હોય તથા વીજકંપનીની કલમ 126 અને 135 મુજબ પ્રથમ વખત વીજચોરીમાં પકડાયેલા ગ્રાહકો માટે જયારે ગ્રામપંચાયતમાં 10 કીલોવોટથી નીચેના કોર્મશીયલ અને રહેણાંક તથા કૃષિ વીજજોડાણ ધરાવતા ગ્રાહકો કે જેમના વીજબીલ બાકી હોય તેઓને રૂ.500 ભરી વીજબીલ માફની જોગવાઇ રાખવામાં આવી હતી.
આ યોજના તા.31/5/2019 ના રોજ પૂર્ણ થઇ છે. ત્રણ મહીનાથી વધુ ચાલેલી આ યોજનામાં જામનગરમાં 29759 અને દ્વારકામાં 11067 લાભાર્થી હતાં. જે પૈકી જામનગર જિલ્લામાં 8328 લાભાર્થીએ યોજનાનો લાભ લેતાં રૂ.22.52 કરોડ અને દ્વારકા જિલ્લામાં 4438 લાભાર્થીએ યોજનાનો લાભ લેતા રૂ.14.30 કરોડ માફ કરવામાં આવ્યા છે. પરંતુ હાલારમાં 40820માં થી ફકત 12092 લાભાર્થીએ લાભ લેતા યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
જ્યારે જૂની યોજનામાં રૂ.41 લાખની માફી વીજકંપનીની જૂની માફી યોજના કે જેમાં રહેણાંકના પીડીસી કનેકશન ધરાવતા બીપીએલ કાર્ડ ધારકોએ 50 ટકા રકમ ભરવાની રહે છે, તેમાં 19/2/2019થી 31/5/2019 ની સ્થિતિએ 377 કિસ્સામાં રૂ.41.10 લાખની રકમ માફ કરવામાં આવી છે.
માત્ર ત્રેવીસ ટકા જ કલેક્શન થવાનુ કારણ એ છે કે જે તે વખતે વીજ ચોરી કરનાર અમુકે અધીકારીઓની કૃપાથી બીજા નામે કનેક્શન લઇલીધા અને જલસા કરે છે, તેમજ અમુકના રોજકામ નબળા હોઇ ખાસ પગલા લેવાય તેમ નથી જ્યારે કેટલાકના મીટર ન મળતા લમસમ બીલ આવ્યા હતા,જેથી દરકાર ન કરી તો અમુક કિસ્સાઓમા મીટર જેના નામે હોય તે નામનુ ચોરીનુ બીલ મળે જેઓ મળી આવતા નથી આવા અનેક રહસ્ય છે જે લગત અધીકારીઓ જાણે છે અને તેમના કારસાના કારણે તેમ જોઇએ તેવો વ્યાપક પ્રચાર ન થયો હોઇ આ યોજના હાલારમા ફેલ ગઇ છે