Mysamachar.in-જામનગર:
રાજ્યના નાયબમુખ્યમંત્રી અને આરોગ્યવિભાગનો હવાલો પણ જેમની પાસે છે,તે નીતિનભાઈ પટેલ ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આકસ્મિક મુલાકાતે પહોચ્યા હતા,અને તેવોએ સ્ટાફને જરૂરી સૂચનાઓ પણ આપી હતી,તો દર્દીઓના હાલચાલ પૂછવા સુધીની તસ્દી તેવોએ લીધી જે સરાહનીય છે,અને અવ્યવસ્થાને લઈને અમુક અધિકારીઓનો ઉઘડો લીધો હતો,
પણ અત્રે આ લખવાની ફરજ એટલે પડી છે કે જામનગરની જી.જી.હોસ્પિટલનું તંત્ર દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે જામનગર જી.જી.હોસ્પિટલમાં પણ અનેક અગવડો વચ્ચે દર્દીઓ સારવાર લેવા મજબુર છે,જેમાં તબીબોની,સ્ટાફની તંગી અને મશીનરીનો અભાવ સહિતની બાબતો પણ જવાબદાર છે,જે તરફ સરકારે ધ્યાન આપવાની જરૂર છે,
કોઈ દિવસ નીતિનભાઈ જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવી અને કેશ કઢાવવા ઉભેલા દર્દીને પૂછજો કે કેટલીવારથી લાઈનમાં ઉભા છો,..?ટોકન સિસ્ટમને નામે દર્દીઓ લોબીમાં આવેલ છેલ્લી દીવાલને અડકી જાય ત્યાં સુધીની લાઈન થઇ જાય છે,તો પૂછપરછ વિભાગ તો ક્યારેક જ ખુલ્લે છે,તો હોસ્પિટલના સોનોગ્રાફી અને એક્સરે સહિતના વિભાગોમા સર્જાતી લાઈનો આપને દેખાઈ જ આવશે,હોસ્પિટલમાં પણ રખડતા જાનવર આપને કદાચ જોવા મળી જાય તો નવાઈ નહિ,પણ આપ આકસ્મિક આવજો..
કારણ કે જો આપ આવવાના છો તેવી જી.જી. હોસ્પિટલ સતાવાળાઓને જાણ થઇ જશે તો હોસ્પિટલ ચોખ્ખીચણક જોવા મળશે,અને જ્યાં અત્યારે માંડ કયાંક સિક્યુરિટી જોવા મળે છે,તે પણ જાણે આખીય હોસ્પિટલ કિલ્લેબંધીમા ફેરવાઈ જશે..આપ ટ્રોમામા પણ એક આંટો મારજો તો ખ્યાલ આવશે કે જી.જી.હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દર્દીઓ અને ડોક્ટરો એકબીજા સાથે ભટકાઈ તેવી સ્થિતિ પણ આપને ઈમરજન્સી વખતે જોવા મળશે,જી.જી.હોસ્પિટલમાં કેટલાક તબીબોની ઘટ્ટ છે તેનું લીસ્ટ તો કદાચ આપની પાસે હશે જ…
આમ આ તમામ સુવિધાઓના અભાવ વચ્ચે પણ હાલના તબીબો,નર્સિગ સ્ટાફ,સહિતનો સ્ટાફ પોતાની ફરજ સુપેરે નિભાવે છે,અને દર્દીઓની સેવા કરે છે,પણ તે તમામ સરકારી નોકર છે,એટલે બોલવાની મર્યાદા છે,માટે તમે એક મુલાકાત અમદાવાદની જેમ જામનગરની પણ લેજો…તો જામનગર જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવતા દર્દીઓનું પણ કદાચ આપની મુલાકાત ને કારણે કઈક ભલું થાય અને ખૂટતી સુવિધાઓમાં પણ કદાચ કાઈક વધારો થાય.