Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા કલેકટર રવિશંકર પોતાની કામગીરીને લઈને હમેશા સજાગ રહ્યા છે, કોઈપણ પરિસ્થિતિ હોય ખુદ કલેકટર રવિશંકર પોતે જાતતપાસના વધુ આગ્રહી છે, ગત ચોમાસાની સીઝનમાં પડેલ ધોધમાર વરસાદની વાત હોય કે પછી કોઈપણ આફત જીલ્લાના તમામ અધિકારીઓ સાથે સુચારુ સંકલન સાધીને કલેકટર જામનગર હમેશા લોકો પર આવનારી આફત પૂર્વે જ પાળ બાંધી દે છે, ત્યાં સુધી કે પોતાની મંજુર થયેલ રજા ટૂંકાવીને તેવો તાત્કાલિક વાયુ વાવાઝોડાની આફત સમયે ફરજ પર હાજર થયાનું આજની તારીખે પણ જામનગરવાસીઓને સારી રીતે યાદ છે.
એવામાં ગત લોકસભાની ચુંટણી સમયે પણ જીલ્લા ચૂંટણી અધિકારીની તેવોની ફરજ પણ રવિશંકરે સુપેરે નિભાવતા રાજ્યના ચુંટણીપંચ દ્વારા તેમની કદર કરવામાં આવી છે, રાજ્યની નિર્ણાયક સમિતિ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ જીલ્લા ચુંટણી અધિકારી તરીકે જામનગર કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી રવિશંકરની પસંદગી થઇ છે, અને તેવો આવતીકાલે ગાંધીનગર ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં આ અનેરું સન્માન પ્રાપ્ત કરશે.જામનગર માટે પણ એ ગૌરવની વાત છે કે જીલ્લા કલેકટર રવિશંકરની રાજ્યકક્ષાએ સન્માન માટે પસંદગી થઇ છે.
-શા માટે થઇ રાજ્યના શ્રેષ્ઠ જીલ્લા ચુંટણી અધિકારી તરીકે પસંદગી
ચુંટણી એ લોકશાહીનું મોટું પર્વ છે.અને જીલ્લા ચુંટણી અધિકારી તરીકે ચુંટણી વ્યવસ્થાપનની પ્રક્રિયા ખુબ જ મહત્વની હોય છે, ભારતના ચુંટણીપંચ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈનને અનુસરી ને તે મુજબ જ ચુંટણી કરાવવી, દિવ્યાંગ મતદારો માટે લોકસભાની ચુંટણીમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ, અને લોકસભા જામનગરની ચુંટણીની સમગ્ર પ્રક્રિયા બને તેટલા ઓછા ખર્ચમાં સંપન્ન થાય તે માટે આયોજન કરવામાં આવેલ અને વિધાનસભા ૨૦૧૭ ની સરખામણીએ બુથ દીઠ આશરે ૨૫૦૦ જેટલો ખર્ચ ઘટાડવામાં પણ સફળતા મળી છે, વધુમાં સૌથી મોટી સફળતા એ પણ કહી શકાય કે જામનગર લોકસભા સીટની ચુંટણીમાં યોગ્ય આયોજનને કારણે કોઈપણ જગ્યાએ ફેર મતદાન કરવાની પણ જરૂર પડેલ નથી.