Mysamachar.in-જામનગર
કોરોનાવાયરસના સંક્રમણના નિયંત્રણ માટે ભારત સરકાર દ્વારા ૨૫ માર્ચ ૨૦૨૦થી ૨૧ દિવસ સુધી સમગ્ર ભારતમાં લોકડાઉનજાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉનની વ્યાપક અસર હેઠળ ધંધા-રોજગાર બંધ થયેલ છે, આથી છુટક મજુરી કરનાર, રોજિંદી મજૂરી કરનાર આવક મેળવનાર રોજમદાર, લારી-ગલ્લા/રિક્ષાવાળા વગેરે લાભાર્થીઓને આર્થિક રીતે માઠી અને વિપરીત અસર થઇ છે, ત્યારે રાજ્યમાં અંત્યોદય કાર્ડધારકો, અગ્રતા ધરાવતા કુટુંબો તથા એન.એફ.એસ.એ. કાર્ડધારકોને આવતીકાલથી સમગ્ર એપ્રિલ માસ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓનો જથ્થો ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાન પર પ્રાપ્ય કરાવવામાં આવશે. આ "વિનામૂલ્યે ફૂડ બાસ્કેટ યોજના" અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાશનકાર્ડધારકોને ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે, જેનો જામનગરના ૨ લાખ ૧૩ હજાર ૭૫૪ લોકોને સીધો લાભ મળશે.