Mysamachar.in-જામનગરઃ
જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી તેમજ એસ્સાર ઓઇલ (ન્યારા એનર્જી) દ્વારા સંચાલિત ડીઝલ પંપમાં ગેરરીતિ, નિયમ વિરુદ્ધ વેચાણ, કર ચોરી, સહકારી ધારાના ઉલ્લંઘન જેવા અનેક પ્રશ્નોને લઇને જામજોધપુર તાલુકા પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા હડતાલ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકા પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશનનો આક્ષેપ છે કે કાર્યકારી સહકારી મંડળી તેમજ એસ્સાર ઓઇલ (ન્યારા એનર્જી) દ્વારા સંચાલિત ડીઝલ પંપમાં ગેરરીતિ, નિયમ વિરુદ્ધ વેચાણ મુદ્દે સરકાર, મંત્રી અને અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવી છે, છતા આ પંપ વિરુદ્ધ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં આ ગેરરીતિને કારણે ખુદ સરકારને ટેક્ષમાં ખોટ થઇ રહી હોવા છતા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. આથી જામજોધપુર તાલુકા પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા તારીખ 18/12/2019થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ દરમિયાન પેટ્રોલ તેમજ ડીઝલનું વેચાણ બંધ રહેશે, એટલું જ નહીં એસોશિએશને ચિમકી ઉચ્ચારી કે આવી તાનાશાહી એસ્સાર ઓઇલ (ન્યારા એનર્જી) કંપની તેમજ મંડળી વિરુદ્ધ જો કોઇ પગલા લેવામાં નહીં આવે તો સમગ્ર તાલુકાના પેટ્રોલપંપ હડતાલ પર જશે.