Mysamachar.in-જામનગર:
જિલ્લા પંચાયતમાં સ્ટાફ અને સમયસર ગ્રાન્ટના અભાવે મંજૂરીના ત્રણ વર્ષ બાદ પણ કામ અધૂરા હોવાનું સામે આવ્યું છે, જામનગર જિલ્લા પંચાયતમાં રૂ.6.83 કરોડના સિંચાઇના કામ અધ્ધરતાલ હોવાથી અનેક સવાલ ઉઠયા છે.સ્ટાફ અને સમયસર ગ્રાન્ટની ફાળવણીના અભાવે સૈંધ્ધાતીંક મંજૂરીના ત્રણ-ત્રણ વર્ષ બાદ પણ કામ ન થતાં ગ્રામ્ય વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.પાણીની વિકટ સ્થિતિમાં ચેકડેમ અને તળાવ રીપેરીંગના મહત્વના કામો ન થતાં લોકોની મુશ્કેલી બેવડાઇ છે.
જામનગર જિલ્લાના 6 તાલુકામાં જિલ્લા પંચાયત દ્વારા તળાવ,ચેકડેમ રીપેરીંગ સહીતના સિંચાઇના કામ કરવામાં આવે છે.પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, છેલ્લાં ત્રણેક વર્ષથી જિલ્લામાં અપૂરતા વરસાદ વચ્ચે જિલ્લા પંચાયત દ્વારા સિંચાઇના કામને સૈંધ્ધાતીંક મંજૂરી આપવા છતાં તળાવ અને ચેકડેમના કામ અધ્ધરતાલ હોવાથી પાણીનો સંગ્રહ ન થઇ શકતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જિલ્લા પંચાયતના ચોપડે બાકી બોલી રહેલા સિંચાઇના કામના આંકડા ખરેખર ચોકવનારા છે.
-કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત હોવાથી સ્ટાફ ગ્રાંટ મામલે ઓરમાયા વર્તનની ચર્ચા
જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે.જયારે રાજયમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ભાજપની સરકાર છે.ત્યારે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાથી સતાની સાઠમારીમાં ખાલી જગ્યાઓ ભરવામાં નથી આવતી કે કેમ તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. તેવીજ રીતે ગ્રાંટમા પણ ટગાવાય છે.