જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારમાં ગૌણ અને મુખ્ય ખનીજોના આડેધડ ખોદકામ એ કંઇ નવી બાબત નથી અને પાંચ વર્ષમાં 11 કરોડ કીલો તો ગેરકાયદેસર ખનીજ જપ્ત થયુ છે,તો ગેરકાયદેસર રીતે ખોદાઇને પરિવહન કેટલુ થઇ ગયું હશે..?તેમાંય છેલ્લા વર્ષમાં જ 94 લાખ કિલો ખનીજ ગેરકાયદેસર ખોદાયેલુ કે વહન થયેલુ પકડાયુ છે,હાલારના નદી-નાળા-સાગરકાંઠા ખેતરો અને કોતરો-ધાર વગેરે મોટાભાગે રેતી-મોટી, કપચી, મોરમ, બેલા, લાઇમ, બોકસાઇટ સહિતના ખનીજ ખોદકામના ધમધમાટથી નિરંતર ધમધમે છે,તેમાંથી કાયદેસરતા કેટલાની છે તે તપાસની બાબત છે.,
ખનીજ ખોદકામથી જમીનોના ધોરણ, કુદરતી સંપદાના નાશ,તળના પાણી ઉપર માઠી અસર,ક્ષાર અંકુશ માટે નડતર વગેરે બાબતો બનતી હોય નિયમોનુસાર મંજુરીઓ જરૂરી છે.પરંતુ નાની મોટી 357 મંજુરીઓ સામે ખુણે ખાચરે સહિત સાડા ચાર હજારથી વધુ નાના-મોટા સ્પોટ ઉપર ગેરકાયદેસર ખનીજ ખોદકામ અને વહન ચાલે છે,તેને રોકવામાં તંત્ર અનેક કારણોસર વામણુ પુરવાર થાય છે,અથવા ઇચ્છાશકિત નથી,અને એક અંદાજ મુજબ વર્ષે 60 લાખ ટનથી વધુ ખનન થાય છે જેની કાયદેસરતા તપાસવી જોઇએ.
-વસુલાતની ઢીલી નીતિ-બે વર્ષમાં 4 કરોડ મળ્યા
ગેરકાયદેસર ખનીજ ખોદકામ જોકે મોટાભાગે તો રંગે હાથ ઝડપાય જ નહી અને જો ઝડપાય તો કબજે લેવાયેલા ખનીજનો બાદમાં અતો-પતો નથી હોતો, ઘણી વખત પુરૂ રોજકામ થતુ નથી, કેસ તૈયાર થતા નથી, ગુના લાંબા સમય સુધી નોંધાવાતા નથી, નોટીસ વગેરે બજાવાતા નથી, ચાર્જશીટ પણ થતા નથી આવી દરેક પ્રોસીજર માટે વિલંબ થતા હોય ગે.કા. ખનીજ ખોદકામના કેસમાં છેલ્લા બે વર્ષમાં રૂા.4 કરોડની જ વસુલાત થઇ અને જંગી વસુલાત બાકી છે.