Mysamachar.in-ગાંધીનગરઃ
હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર થયું હતું. હવે બોર્ડની પરીક્ષાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 80 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવામાં દેવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે આ વખતે હોલ ટિકિટનું ઓનલાઇન વિતરણ કરાશે, જો કે તેમાં જે તે શાળાના આચર્યને પાસવર્ડ આપવામાં આવશે જેથી 80 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં આચાર્ય લાલ અક્ષરે N.C (NO CANDIDATE) લખી બોર્ડમાં જમા કરાવવાનું રહેશે.
બોર્ડ તરફથી આપવામાં આવેલી સૂચનામાં જણવવામાં આવ્યું છે કે પ્રથમ સત્રના પ્રથમ દિવસથી લઇને ફેબ્રુઆરીની 15 તારીખ સુધીમાં વિદ્યાર્થીની કુલ દિવસોની સરખામણીએ 80 ટકા હાજરી થવી જોઇએ. જો વિદ્યાર્થીની હાજરી ઓછી હોવાના યોગ્ય કારણો હશે તો બોર્ડ સમક્ષ ૧૫ ફેબ્રુઆરી સુધીમાં દરખાસ્ત કરવાની રહેશે અને બોર્ડ તે દરખાસ્ત પર આદેશ કરે ત્યારબાદ જ વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકશે. ખાસ કિસ્સામાં જેમ કે ઉમેદવારોની લાંબી બીમારી, માતા કે પિતાનું મૃત્યુ, આંતર શાળા કક્ષા કરતા નીચું ન હોય તેવી રમત ગમત સ્પર્ધા વગેરે કારણોસર હાજરી તૂટની દરખાસ્ત બોર્ડની કચેરીએ 15 ફેબ્રુઆરી સુધીમાં આચાર્યની ભલામણ અને તેને લગતા જરૂરી પુરાવાઓ સાથે મોકલી આપવાની રહેશે. આ દરખાસ્ત બાદ તેની પર ચર્ચા કરી હાજરી તૂટ ક્ષમ્ય ગણવાના આદેશ બોર્ડ કરી શકશે.