Mysamachar.in-જામનગરઃ
પ્રદુષણ અટકાવવા માટે સરકારે પ્લાસ્ટિક વેસ્ટનો નિયમ બનાવ્યો જે સારી બાબત છે, પરંતુ આ અંગે કેટલાક નિયમોમાં સુધારો થયો હોવા છતા જામનગર કોર્પોરેશન દ્વારા જૂના નિયમો અંતર્ગત રિટેઇલર્સ તથા નાના દુકાનદાર પાસેથી દંડ ફટકારી પૈસા ખંખેરવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી છે. જામનગર કોર્પોરેશન કમિશનરને અનુલક્ષીને કરવામાં આવેલી એક રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે શોપકિપર અને સ્ટ્રીટવેન્ડર્સને ફરજિયાત નોંધણી કરાવવાની રહેતી ન હોવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હોવા છતા કોર્પોરેશન દ્વારા પાછલી અસરથી શોપકિપર અને સ્ટ્રીટવેન્ડર્સ ને નોંધણી ફરજિયાત કરતો ઠરાવ કરી ફી પણ લાગુ કરવામાં આવી છે. જેના કારણે રોજનું કમાઇ ટક રોળવતા નાના વેપારીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016માં નિયમ-15માં એક્સપ્લીટ પ્રાઇસિંગ ઓફ કેરી બેગ હેઠળના પેટા નિયમ-1માં શોપકીપર અને સ્ટ્રીટવેન્ડર્સ કે જેઓ પોતાના ગ્રાહકોને પ્લાસ્ટિકની કેરી બેગ આપવા ઇચ્છુક હોય તેઓએ પોતાના એકમની નોંધણી સ્થાનિક સંસ્થા પાસેથી કરાવવાની જોગવાઇ તારીખ 18/09/2016ના નોટિફિકેશન નંબર-GSR 320(E)થી કરેલી. ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ એનવાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાયમેટ એજન્સી વિભાગના નોટિફિકેશન નંબર-GSR 285(E)તારીખ 27/03/2018થી સદરહુ નિયમ-15 OMITT થયેલ છે. આમ સદરહુ નોટિફિકેશનમાં નિયમ-15 OMITT થઇ જતાં શોપકીપર અને સ્ટ્રીટવેન્ડર્સને નોંધણી કરાવી ફરજિયાત હતી તે હવે રહેતી નથી તેવું 27/03/2018થી સ્પષ્ટ થઇ ગયું છે.
પરંતુ 27/03/2018ના નોટિફિકેશનને અવગણી કોર્પોરેશન દ્વારા પાછલી અસરથી શોપકિપર અને સ્ટ્રીટવેન્ડર્સને નોંધણી ફરજિયાત કરતો ઠરાવ કરી ફી પણ લાગુ કરવામાં આવી છે. ત્યારે જનરલ બોર્ડનો ઠરાવ કાયદાની જોગવાઇ સાથે સુસંગત ન હોય અને તેને વહીવટી મંજુરી ન આપવા અને જો અપાઇ હોય તો તાત્કાલિક પાછી ખેંચવા રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે હાલ જામનગર કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અન્વયે ઠરાવ કરી પાછલી અસરથી નોંધણી અને ફી લાગુ કરેલ છે જેમાં ઓર્ગેનાઇઝડ રિટેઇલર્સ/અનઓર્ગેનાઇઝડ રિટેઇલર્સ/દુકાનદાર માટે વાર્ષિક ફી 7,000 અને સ્ટ્રીટ વેલ્ડર્સ/હોકર્સ 3,000 નક્કી કરાયેલ છે, જો આ રજિસ્ટ્રેશન ન કરાયેલું હોય તો અધિકારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવે છે.
નોટબંધી અને જીએસટીની માઠી અસર હજુ વેપાર ધંધામાં જોવા મળી રહી છે ત્યારે દિન-પ્રતિદિન નવા નિયમો અને જોગવાઇઓમાં ફેરફાર તથા મોંઘવારી ઘટવાને બદલે વધતાં મોટાભાગના વેપાર ધંધામાં મંદીના ભરડા વચ્ચે જામ્યુકોની પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપન એટલે કે મનપા દ્રારા એકત્ર કરવામાં આવતા પ્લાસ્ટિકના કચરાના એકત્રીકરણ, ટ્રાન્સપોર્ટેશન પાછળ દર વર્ષે અંદાજીત થતાં રૂ.7 કરોડનો ખર્ચ અને પ્રોસેસીંગ પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા રૂ.3000 થી 25000 વાર્ષિક રજીસ્ટ્રેશન ફી વસૂલવાનું શરૂ કરવામાં આવતા વેપારીઓમાં દેકારો બોલી ગયો છે.જામ્યુકો દ્રારા 17 ઓગષ્ટથી રજીસ્ટ્રેશન ફી વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે પરંતુ દોઢ મહીનામાં ફકત 272 રજીસ્ટ્રેશન થતાં મહાનગરપાલિકાને ફી પેટે ફકત રૂ.19.57 લાખની આવક થતાં નબળો પ્રતિસાદ સાંપડયો છે.રજીસ્ટ્રેશન ફી માટે મનપા દ્રારા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ અપૂરતી અને અસ્પષ્ટ માહીતીથી રજીસ્ટ્રેશન ફી અંગે વેપારીઓમાં ગૂંચવણ અને મૂઝંવણ પ્રર્વતી રહી છે.