Mysamachar.in-જામનગરઃ
શહેરમાં બે સરકારી વિભાગો દ્વારા ધરણા કાર્યક્રમથી ભારે ચર્ચા જાગી છે. જેમાં જિલ્લા પંચાયત ભવન ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ધરણા અને રેલીનો કાર્યક્રમ યોજાયો, તો મહેસુલી વિભાગ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ તથા ક્લેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. ધરણા કાર્યક્રમને લઇને શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત આરોગ્ય કર્મચારી મહામંડળના આદેશ મુજબ જામનગર જિલ્લા પંચાયત કચેરી સામે જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ એકઠા થઇ રેલી યોજી દિવસભર ધરણા કાર્યક્રમ યોજ્યો હતો.
આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે ગત ફેબ્રુઆરીમાં 13 દિવસની હડતાલ બાદ રાજ્ય સરકાર તરફથી વિવિધ 6 કેડરોના 13 જેટલા પડતર પ્રશ્નો ઉકેલવાની લેખિત બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તમામ 13 પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે. હવે આ વખતે લડી લેવાના મૂડમાં છે. જેના ભાગ રૂપે રોષપૂર્ણ છતાં શાંત રેલીનું આયોજન કરી ધરણા પર બેઠા છે. સાથે ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો હજુ પણ સરકાર તરફથી હકારાત્મક વલણ નહીં રાખવામાં આવે તો આગામી સમયમાં વધારે આંદોલનાત્મક કાર્યક્રમ યોજાશે અને હવે કર્મચારીઓ અભિ નહિ તો કભી નહીં ના મૂડમાં આવી આરપારની લડત આપવા મક્કમ બનેલા છે.
તો ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારી કક્ષાએ કર્મચારીઓના બઢતી, બદલી અને અન્ય પ્રશ્નોને લઇને હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. જે અન્વયે લાલ બંગલા સામે અંદાજે 200 જેટલા કારકૂન અને નાયબ મામલતદાર સહિતના મહેસૂલી કર્મચારીઓ ધરણા પર બેઠા છે, તેઓએ ક્લેક્ટરને આવેદન પણ આપ્યું છે. મહેસુલી કર્મચારીઓની માગણી છે કે રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવામાં આવે. તો સરકારના હુકમથી ક્લાર્ક સંવર્ગના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાઁથી પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતા અન્ય જિલ્લાઓ ફાળવવામાં આવેલ છે, જેથી આવા કર્મચારીઓને મૂળ મહેકમના જિલ્લામાં મૂકવામાં આવે. આ સિવાય અન્ય કેટલાક પ્રશ્નોને લઇને મહેસુલ વિભાગ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવી છે.