Mysamachar.in-ગાંધીનગરઃ
ગાંધીનગર સ્થિતિ વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં પ્રશ્નોતરી દરમિયાન ખંભાળિયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પ્રશ્ન કરી માહિતી માગી હતી કે જૂન 2019ની સ્થિતિ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જિલ્લા વાર કેટલા સામુહિક બળાત્કારના બનાવો બન્યા છે ? અને તે પૈકી કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે. હજુ કેટલા આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે? આ પ્રશ્નના જવાબમાં રૂપાણી સરકાર વતી ગૃહ રાજ્યપ્રધાને લેખિતમાં સ્વીકાર કર્યો કે ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકારના શાસનમાં છેલ્લા 5 વર્ષમાં સામૂહિક બળાત્કારની 131 ઘટનાઓ બની છે. જેમાં અલગ અલગ પોલીસ કેસમાં 500 આરોપીઓ પકડાયા છે. જ્યારે 18થી વધુ ગુનેગારો આજે પણ પોલીસ પક્કડથી દુર હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારની સૌથી વધુ 26 ઘટનાઓ સુરત ગ્રામ્ય, સુરતમાં 8 બની અને અમદાવાદ શહેરમાં 17 સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે.
ગૃહ રાજ્યપ્રધાન જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ 131 સામૂહિક બળાત્કારના ગુના નોંધાયા છે. જે પૈકી પોલીસે 500 આરોપીઓ પકડી પાડ્યા છે. જ્યારે હજુ 18 આરોપીઓ પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શાંતિ સલામતી અને સુરક્ષાના દાવા વચ્ચે વર્તમાન ભાજપ સરકારના કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સામુહિક બળાત્કારની રાજકોટ શહેરમાં 3 બનાવો બન્યા હોવાનો લેખિત સ્વીકાર સરકારે કર્યો છે. ઉપરાંત ત્રીજા ક્રમે ભાવનગર શહેર-જિલ્લામાં 11 બનાવો બન્યા છે.