Mysamachar.in-જામનગર:
ગુજરાત સ્ટેટ મોડેલ સ્ટેટ ગણાય છે પરંતુ જામનગર જિલ્લાની સરકારી શાળાઓમા શિક્ષણના સ્તરની વાસ્તવિકતા એ છે કે વિદ્યાર્થીઓ શાળાઓ છોડી જાય છે અને એટલી હદે વરવી સ્થિતિ છે કે શાળાઓ એક પછી એક બંધ કરવાની સ્થિતિ સરકાર માટે સર્જાઇ છે, બીજી તરફ સમગ્ર હાલાર મા પચ્ચીસ જેટલા એવા નવા પ્રકરણ ખાનગી શાળાઓના મંજુર થયા છે જેમા વર્ગ વધારા ધોરણ વધારા અને નવી શાળાઓની મંજુરીનો સમાવેશ થાય છે, તેની સામે સોળ સરકારી શાળાઓ બંધ કરવામા આવી છે, સરકાર દ્વારા કરવામાં આવતી પ્રવેશોત્સવની ઉજવણી, ક્ન્યા કેળવણીના અભિયાન સામે અનેક સવાલ ઉઠ્યા છે,. કેમ કે આવા તાયફા બાદ શાળાઓ બંધ કરવી પડે છે અને જિલ્લાની શાળાઓ હવે ૭૦૫માં થી ઘટવા લાગી છે.
-સૌથી વધુ લાલપુર તાલુકામા શાળાઓ બંધ
બંધ કરાયેલી શાળાઓમા જામનગર તાલુકાની 2, લાલપુર તાલુકાની 10 અને જામજોઘપુર તાલુકાની 4 સરકારી પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે, જો કે તંત્ર એવો બચાવ કરે છે, કે અમુક પરિવારો હરતા ફરતા રહેતા હોય શાળામાથી તેમના બાળકો ઉઠી જાય છે, માટે સંખ્યા તદન ઘટી જતા આ પગલુ લેવુ પડે છે તેની સામે હવે સવાલ એ છે કે એ વિદ્યાર્થીઓને અન્ય સરકારી શાળાઓમા પ્રવેશ અપાવી સંખ્યા જાળવવા કોઇ પ્રયાસ થયા છે?