Mysamachar.in-ગાંધીનગરઃ
વિધાનસભાના શિયાળુ સત્રના અંતિમ દિવસે ગૃહમાં ભારે હોબાળો મચ્યો, વિપક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે એવી માહિતી આપવી પડી જે ગુજરાતના યુવાનોને વિચારવાની ફરજ પાડશે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને રાજ્યમાં બેરોજગારીની સ્થિતિને લઇને સવાલ કર્યો હતો જે અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું કે ગુજરાતના 16 જિલ્લામાં 5,41,500 શિક્ષિત અને 14,529 અર્ધ શિક્ષિત બેરોજગારો છે. એટલે કે રાજ્યમાં કુલ બેરોજગારોની સંખ્યા 5,56,029 છે. વધુમાં જણાવવામાં આવ્યું કે રાજ્યમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો અમદાવાદ જિલ્લામાં 39,584 છે, જ્યારે બીજા નંબર પર વડોદરા 26,649 છે. તો 22,257 બેરોજગારો સાથે આણંદ ત્રીજા નંબરે છે. તો અર્ધશિક્ષિત બેરોજગાર મામલે પણ અમદાવાદ પહેલા નંબર પર છે. અમદાવાદ જિલ્લામાં 4274 બેરોજગારો છે. સરકારે જાહેર કરેલા બેરોજગારીના આંકડા બાદ વિધાનસભામાં ભારે હોબાળો મચ્યો હતો. બેરોજગારી મામલે સૌપ્રથમ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ બળદેવજી ઠાકોરે પણ વિરોધ નોંધાવ્યો હતો. હોબાળો થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાંધો ઉઠાવી અધ્યક્ષનું ધ્યાન દોર્યું હતું.