Mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વ્રારકા:
ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી-સધ્ધર પ્રકારનું આપણુ રાજય ગણાય છે.તેમ છતાં ખેડૂતોની તત્કાલ જોડાણ અંગેની અરજીઓ તો છ વર્ષથી થપ્પા થાય છે,અને અમુક વખતે તો ના છૂટકે ખેડૂતો વીજચોરી કરવા પણ પ્રેરાઇને દંડના ભોગ બને છે. જામનગર પીજીવીસીએલ સર્કલના બન્ને જિલ્લામાં ડીસેમ્બર 2013 સુધીની ખેડૂતોની તત્કાલ વીજજોડાણની અરજીઓના નિકાલ થઇ ગયા છે,પરંતુ ત્યારબાદની મળીને અત્યાર સુધી 19 હજાર અરજીઓ પેન્ડીંગ છે,અને તે પણ રજીસ્ટર ઉપર ચઢેલી તે સિવાયની તો અનેક અરજીઓ ધુળ ખાય છે….
આટલી મોટી સંખ્યામાં વીજજોડાણ માટે અને તે પણ તાત્કાલિક જોડાણ મેળવવાની અરજીઓ છે તે માટે પણ છ-છ વર્ષ સુધી નિકાલ થતાં નથી.છેલ્લા બે વર્ષમાં થયેલી કાર્યવાહી અંગે તંત્રએ આપેલી વિગતો મુજબ જોઇએ તો વર્ષ 16-17માં કુલ 4477 અરજીઓના સામાન્ય યોજનાના જોડાણ હેઠળ નીકાલ થયા અને 223 જોડાણ તાત્કાલીક જોડાણ હેઠળ અપાયા છે,અને વર્ષ 17-18માં 7339 સામાન્ય યોજનાના જોડાણ અપાયા છે,અને 86 (માત્ર) તત્કાલ યોજનાના વીજ જોડાણ અપાયા છે,આમ 17649 અરજીઓમાંથી તત્કાલ જોડાણ બે વર્ષમાં માત્ર 309 જ અપાયા તેની સામે જંગી અરજીઓ એકઠી થતી જાય છે.તો તત્કાલ વીજ જોડાણનો ખર્ચ શું થશે? તેવો સવાલ પણ સહેજે થાય.
-મેન્ટેનન્સ રીપેરીંગમાં વારંવાર શીથીલતા
નવા જોડાણમાં વીજવિભાગ ઢીલી નીતિ રાખે છે,તેવી રીતે લાઇન ફોલ્ટ,પોલ ફોલ્ટ,ટ્રાન્સફોર્મર ફોલ્ટ વગેરે રિપેર કરવામાં તેમજ મેન્ટેનન્સમાં પણ તંત્ર શીથીલતા દાખવતું હોય છે,તેવી અનેક ફરિયાદો ઉઠે છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં તો ઘર-દુકાન-ખેતર-કારખાના સહિતના સ્થળે લોકો વીજ લાઇનો ઠપ્પ હોય ત્યારે કલાકો વકાસીને બેઠા હોય છે,તેમાંય સાગર કાંઠાળા વિસ્તારમાં તો વારંવાર વાયરો અને લગત ફીટીંગ જર્જરીત થઇ બગડવાના બનાવ વધુ બને છે.