Mysamachar.in-રાજકોટઃ
આજના યુગમાં મોબાઇલ ફોનથી મનુષ્યનું જીવન ભલે સરળ બન્યું હોય, પરંતુ આ મોબાઇલ ફોન જ આજના યુગની મોટી સમસ્યા બની રહ્યો છે. ખાસ કરીને દેશનું ભાવી ગણાતા વિદ્યાર્થીઓ મોબાઇલ પાછળ એટલા ઘેલા બન્યા છે કે તેની સીધી અસર તેમના શૈક્ષણિક જીવન પર થઇ રહી છે. એવામાં રાજકોટની ખાનગી અને સરકારી શાળામાં અભ્યાસ કરતાં પાંચ હજાર વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોનથી દૂર રહેવાની અનોખી પ્રતિજ્ઞા લીધી છે, જે અન્ય વાલીઓએ પણ પોતાના બાળકોને લેવડાવવાની જરૂર છે. રાજકોટની ખાનગી અને સરકારી શાળામાં અભ્યાસ કરતા 5 હજાર વિદ્યાર્થીઓ માટે જેસીઆઈ સિલ્વર નામની સંસ્થાએ ઈન્ટિગ્રેટી ડે નિમિત્તે નૈતિકતાની પાઠશાળાનું આયોજન કર્યું હતું. જેમાં બાળકોએ નક્કી કર્યું કે તેઓ મૂલ્યવાન જિંદગી જીવશે અને વિદ્યાર્થીકાળ દરમિયાન બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ નહીં કરે.
આ ઉપરાંત પર્યાવરણનું જતન કરવા, પ્રદૂષણને અટકાવવા,ઘર પરિવાર, સમાજમાં એક સ્વસ્થ અને નૈતિક વાતાવરણનું નિર્માણ કરવા, દેશ અને પરિવારના સન્માન વૃદ્ધિમાં વધારો થાય તે માટેના શપથ લીધા. શપથ લીધા બાદ બાળકોએ કહ્યું કે, તેઓ માતાપિતાને પણ સમજાવશે કે પર્યાવરણની જાળવણી સમાજ માટે કેટલી જરૂરી છે. નૈતિકતાની પાઠશાળામાં શહેરની વિવિધ શાળામાં ભણતા બાળકોએ ભાગ લીધો હતો. જેસીઆઈ સિલ્વરની ટીમના 25 લોકોએ બાળકોને પાઠ ભણાવ્યા હતા. આ આખો એક રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ છે. જેનો મુખ્ય ઉદેશ બાળકો પોતાનો સમય બિજનરૂરી કાર્યમાં ન વેડફે અને તેને જીવનનું મૂલ્ય સમજાય તે માટેનો હતો. બાળક એ કુમળો છોડ કહેવાય. નાનપણમાં તેને જેવી ટેવ પાડો તેવી આજીવન ટેવ રહે છે. ત્યારે બાળકોને નાનપણથી જ સાચા ખોટાની સમજ આવે, આવનારી પેઢી સશક્ત બને તે માટે નૈતિકતાની પાઠશાળાનું આયોજન કર્યું હતું.