Mysamachar.in-જામનગર:
જામનગરના પી.એન.માર્ગ પર અંબર ટોકીઝ નજીક આશુતોષ હોસ્પિટલ થોડા દિવસો પૂર્વે જ ભારે ચર્ચામાં આવી હતી, કારણ કે હોસ્પીટલના તબીબ સામે એક બાળકીના મોત મામલે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં કલમ ૩૦૪-અ મુજબ ગુન્હો નોંધાયો હતો, ત્યાં જ આજે એજ ડો.પોરેચાની આશુતોષ હોસ્પિટલમાં સાંજના સમયે ફાયરવિભાગના જણાવ્યા મુજબ મીટરબોક્સમાં આગ લાગતા થોડીવાર પુરતી અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર વિભાગે સ્થળ પર પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો, જો કે હોસ્પીટલમાં ફાયર સેફટીની સીસ્ટમ હતી તે ચાલુ સ્થિતિમાં હતી કે કેમ તે પણ તપાસ માંગી લેતી બાબત છે.ઘટનાને પગલે આસપાસ લોકોના ટોળા એકત્ર થઇ ચુક્યા હતા.
-ફાયર વિભાગ એકલું પુરતું નહિ…અન્ય વિભાગોને પણ સર્વેમાં મેદાને આવવું પડે..
આજે જામનગરની આ ખાનગી હોસ્પીટલમાં લાગેલી આગ પરથી ફાયરવિભાગ ટૂંકા સ્ટાફ વચ્ચે એકલું બધે નહિ દોડી શકે, માટે મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ, એસ્ટેટ સહિતના મનપાના વિભાગોએ જે ભૂતકાળમાં આડેધડ મંજૂરીઓ આપી છે, તેને ફરીથી ઈમારતોને ચેક કરી ત્યાં ફાયર સેફટી સહિતના સાધનો છે કે કેમ, જો કોઈ અકસ્માત થાય તો લોકોનો જીવ બચાવી શકાય તેમ છે કે કેમ ? ઘણી જગ્યાએ પાર્કિંગમાં દબાણો ખડકી દેવામા આવ્યા છે, તે દુર ના થાય તો તેનાથી પણ મોટી મુશ્કેલી અકસ્માતના સમયે સર્જાઈ શકે છે.આવી તમામ બાબતો ચકાસવાનો સમય પાકી ચુક્યો છે.
-જો આગ વધુ પ્રસરી જાત તો અંદરના સ્ટાફ સહિતનું શું થાત.?
જે આશુતોષ હોસ્પીટલમાં આગ લાગી ત્યાં આજે તો ફાયરવિભાગ સમયસર પહોચી ગયું અને આગને કાબુમાં કરી લીધી પણ સવાલો એવા થાય કે જો આગ વધુ પ્રસરી ચુકી હોત તો હોસ્પીટલમાં દર્દીઓ,તેના સબંધી કે પછી અંદર રહેલા સ્ટાફનું શું…? ત્યારે મનપાની ટાઉનપ્લાનિંગ,એસ્ટેટ અને ફાયર સહિતની ટીમો બનાવી અને આવી ખાનગી હોસ્પિટલો અને ઈમારતોનો સર્વે તાજેતરના કેટલાક બનાવો બાદ લાગી રહ્યું છે.