Mysamachar.in-જામનગર:
જામનગરના રણજીતસાગર રોડ પર પટેલપાર્ક નજીક નામાંકિત મોદી સ્કુલનો મામલો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, છતાં પણ શિક્ષણ વિભાગને ખિસ્સામાં લઈને ફરતા સંચાલકોની શાળા સામે કાર્યવાહી કરવામાં શિક્ષણાધિકારી ડોડીયાનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય તેમ લાગે છે, મોદી સ્કુલ મંજુરી વિના જ શરુ કરી દેવામાં આવ્યાના સમાચાર સૌ પ્રથમ “માયસમાચાર” દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા, અને છેક ગાંધીનગર સુધી આ સમાચારની ખુબ ગંભીર નોંધ લેવાઈ છે, ત્યારે પરવાનગી વગરની શાળાએ પોતાની સ્કુલ પર લગાવેલા તમામ બોર્ડ ઉતારી લેતા હવે શાળાને પોતાની ભૂલ અને પરવાનગી "ના" હોવાનો અહેસાસ થયો હોય કે પછી કોઈ સજ્જન શિક્ષણવિદે આપેલી સલાહ હોય..?
શાળાએ “મોદી સ્કુલ” લખેલા તમામ બોર્ડ ઉતારી લેતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું છે, અને એક તબક્કે એવું વિચારતા થઇ ગયા કે આ એ જ શાળા છે ને જ્યાં તેના સંતાનો અભ્યાસ કરે છે, જે રીતે શાળાના બોર્ડ ઉતર્યા તેના પરથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે શાળા પાસે મંજુરી નથી જો ખરેખર મંજુરી હોય તો માધ્યમો સમક્ષ તે મંજુરી મુકવી જોઈએ તેવું પણ શિક્ષણવિભાગના જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે, વધુમાં આ શાળાની બીજી કેટલીક બ્રાન્ચની અનિયમિતતાઓ પણ બહાર આવવા કમર કસી રહી છે, જે સુત્રો દ્વારા આપવામાં આવેલ માહિતીનો અભ્યાસ ચાલી રહ્યો છે, જો તેમાં તથ્યો જણાઈ આવશે તો તેનો અભ્યાસ પૂર્ણ થયે વ્યુઅર્સ સમક્ષ તે પણ મુકવામાં આવશે.
શું શિક્ષણ વિભાગ આંધળો છે.?
મોદી સ્કુલ પોતાની શાળા પર લગાવેલ બોર્ડ ઉતારીને અંદર શિક્ષણકાર્ય યથાવત રાખ્યું છે, ત્યારે જામનગરના શિક્ષણ વિભાગને આ બાબતે નજરે ચઢતી નથી તે આશ્ચર્ય પમાડનારું છે, કે પછી જાણીજોઈને વિભાગ આંધળો હોવાનું નાટક કરી રહ્યો છે.આ મામલે કેટલાય દિવસોથી એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પણ શિક્ષણ વિભાગ તપાસ સુદ્ધાની તસ્દી લેતો નથી તે પણ શંકાપ્રેરક કહી શકાય.