Mysamachar.in-ગાંધીનગરઃ
હંમેશા રાજ્ય સરકારની નવી યોજનાની જાહેરાત કરવા તથા વિપક્ષને આડેહાથ લેવા માટે જાણીતા નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દિલ ખોલીને વાત કરી હતી. નીતિન પટેલે તેમના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે 'આપણે ભણીગણીને અમેરિકા જઈએ છીએ પરંતુ સચિવાલયમાં નામના પાટિયા જોવ છું ત્યારે દુ:ખ થાય છે. મોટા ભાગના IAS-IPS બિનગુજરાતી હોય છે. ગાંધીનગર ખાતે અખિલ આંજણા કેળવણી મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા સચ્ચીદાનંદ સ્વામી હાજર રહ્યાં હતા.
નીતિન પટેલે કહ્યું કે 'હું સચિવાલય રોજ જાવ છું. નેમ પ્લેટ જોઈને દુ:ખ થાય છે. આપણે ભણીગણીને અમેરિકા જઈએ છીએ. સચિવાલયમાં મોટાભાગના પાટિયામાં કોઈ ગુજરાતી નામ જોવા નથી મળતા. સંતાનોને એવું ભણાવો કે બધા આગળ આવે. મોટાભાગના IAS-IPS ગુજરાત બહારના જ હોય છે. આપણા ગુજરાતીઓ વેપારીઓ ખરા, ઉદ્યોગપતિઓ ખરા. દુનિયાભરમાં ફેલાઈ ગયા. કોઈને સંકુચિતતા લાગશે પરંતુ નેમપ્લેટમાં ગુજરાતી નામો નથી હોતા.આપણું પાટિયું ભાગ્યે જ જોવા મળે. સંતાનોને એવું ભણાવો એવું ભણાવો કે બધા પાટિયા ગુજરાતી થઈ જાય' તો નીતિન પટેલે રાજકીય રમૂજ કરતા કહ્યું કે “મહેસાણાના કડીમાં ચૌધરી સમાજના 19,000 મતો છે. આશરે આ મતોમાંથી મને 18,000 મત મળ્યા અને હું જીત્યો, 2012માં અને 2017માં બહુ બધા લોકો મને કાઢું કાઢું કરતા હતા પરંતુ આ મતોના કારણે હું જીતી ગયો. જાહેરમાં રૂણ સ્વીકારવામાં નાનપ લાગે નહીં. ”