જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલમાં દેશમાં કોરોના વાયરસની દહેશતને પગલે તંત્ર સાબદું બન્યું છે, ત્યારે જરૂરી તમામ પગલાઓ તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે લેવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના કેટલાક અપડેટ્સ જેમાં સરકારી કચેરીઓની કામગીરી સહિતની નજર કરવામાં આવે તો કોરોના વાયરસની દહેશતને પગલે….
-જગતમંદિર બંધ કરવામાં આવ્યું…
જે મંદિર સાથે લાખો કરોડો ભાવિકોની આસ્થા જોડાયેલી છે, અને જ્યાં દરરોજ હજારો લોકો દર્શનાર્થે આવે છે તે જગતમંદિર દ્વારકાને 31 માર્ચ સુધી સંપૂર્ણબંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો ધ્વજા ચડાવવા માટે આવનાર ભાવિકોની સંખ્યા માત્ર 25ની રહેશે
-નાગેશ્વર મંદિર પણ બંધ કરાયું…
તો દ્વારકા નજીક આવેલ નાગેશ્વર મહાદેવ મંદિર પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,
-જામનગરનું બાલાહનુમાન મંદિર રણમલ તળાવ પણ બંધ..
વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિર પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે, તો રણમલ તળાવ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
-આજે જી.જી.હોસ્પીટલમાં 9 સેમ્પલો આવ્યા ટેસ્ટીંગ માટે..
રાજ્યની બે લેબોરેટરી પૈકીની એક લેબ જામનગર જી.જી.હોસ્પીટલમાં કાર્યરત છે, જ્યાં આજે 9 સેમ્પલો ટેસ્ટીંગ માટે આવ્યા છે, જેમાં રાજકોટના 5, જામનગર અને દેવભૂમિ દ્વારકાના 1, અને 2 પોરબંદર જીલ્લાના સેમ્પલો છે,તો જી.જી.હોસ્પીટલમાં એક શિફ્ટમાં 30 સેમ્પલો ચેક થઇ શકે છે, અને એક સેમ્પલ ને ચેક કરતા ચારથી પાંચ કલાક જેટલો સમય લાગે છે,
-આર.ટી.ઓ. કચેરી જામનગર દ્વારા લોકોને અનુરોધ
આર.ટી.ઓ. કચેરી જામનગર ખાતે મોટરીંગ કામકાજ અર્થે આવતી મોટરીંગ પબ્લીકને તાજેતરના કોરોના વાયરસને ફેલાવતો અટકાવવાના હેતુસર જણાવવામાં આવે છે કે સરકારશ્રીને માન્ય કરેલ ફેશલેસ પ્રકારના કામો ફેશલેસથી કરવા તે કામગીરી માટે કચેરીએ આવવાની જરૂર રહેશે નહિ
-જિલ્લા સંકલન સમિતીની બેઠક મોકુફ રખાઈ,
જિલ્લા સંકલન સમિતી તથા ફરીયાદ સમિતીની મિટીંગ દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. હાલમાં રાજ્યમાં નોવેલ કોરોના વાયરસથી થતા રોગચાળાને ફેલાતો અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે બેઠકો અને મુલાકાત ટાળવા સરકારશ્રી દ્વારા જણાવેલ છે. જે ધ્યાને લઈ જામનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તકેદારી અને સાવચેતીના ભાગરૂપે ચાલુ માસમાં તા.૨૧-૦૩-૨૦૨૦ના રોજ યોજાનાર ફરિયાદ સહ સંકલન સમિતીની બેઠક મોકુફ રાખવામાં આવી છે.
-કોરોનાથી સાવધાન રહો અને મેડીકલ તપાસણી કરાવો
જીલ્લા વહીવટીતંત્ર સતત કલેકટર રવિશંકરના માર્ગદર્શન હેઠળ તમામ બાબતોને ચકાસી રહ્યું છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, કોઈપણ જાતનો ડર રાખ્યા વિના જો કોઈ દર્દીને શંકા લાગે તો તે જી.જી.હોસ્પિટલ જામનગરની હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરી જરૂરી માહિતી અને સારવાર મેળવી શકે છે.