Mysamachar.in-જામનગરઃ
બે દિવસ પૂર્વે જ કાર પર ફાયરિંગની ઘટનામાં ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીનું નું નામ ખુલ્યું છે. અતુલ ભંડેરીની ધરપકડ પણ કરવામાં આવી છે, જો કે આ મામલે જામનગર કોર્પોરેશનના વિપક્ષ દ્વારા આવેદન પાઠવી પાર્ટી તરફથી અતુલ ભંડેરી વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આવેદનમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું કે જામનગરની જનતાને હવે ખંડણી ચૂકવવાના દિવસો આવ્યા તે વાસ્તવિક્તા છે. રાજકીય પાર્ટીમાં શિસ્તબદ્ધતા અને પારદર્શિતા હોવાનો દાવો કરવામાં આવે છે તો કોર્પોરેટર અતુલ ભંડેરી વિરુદ્ધ કેવા પગલા લેવામાં આવશે તે જામનગરની જનતાને જાણવાનો હક્ક છે.
વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે અતુલ ભંડેરી દ્વારા અગાઉ પણ સરકારી ખરાબાની જમીન પર કબજો કરી દુકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે, તેમ છતા તેની સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જો પાર્ટી તરફથી અતુલ ભંડેરી વિરુદ્ધ કોઇ પગલા લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને કોર્પોરેટર અતુલ ભંડેરીને રાજીનામું આપવાની ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ડો. પી.આર. રાજાણીના ઓમવિલા નામના બંગલામાં પાર્ક કરેલી કાર તથા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેની ફરિયાદના આધારે ભુમાફિયા જયેશ રાણપરિયા, કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત છ શખ્સો વિરુદ્ધ કાવતરું રચી ફોન પર ધમકી આપી ખંડણી માગ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કોર્પોરેટર અતુલ ભંડેરીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.