Mysamachar.in-જામનગર:
જામનગર ભાજપ ફરી વખત ચર્ચાની એરણે ચઢ્યું છે, અને કારણ છે, ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિતનાઓ નું પરાક્રમ….વાત એવી છે કે નવાગામ ઘેડ જાસોલીયા સોસાયટી પાસે વસવાટ કરતા હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજાનું નવુ મકાન બનતુ હોય તે પ્લોટના કબ્જા માટે કોર્પોરેટર કેશુ માડમના પુત્ર આશિષ સહિતના આરોપીઓએ ગુન્હાહીત કાવતરુ રચી પ્રાણઘાતક હથીયારો ધારણ સાથે ફરિયાદી હરપાલસિંહના પિતા વિક્રમસિંહના શરીરે પાઇપ તથા ધોકા તથા છરી ઇજાઓ પહોચાડી હતી, અને હોમગાર્ડ સભ્ય હરપાલસિંહને આશિષના માણસે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો ગતરાત્રીના ભારે ગરમાયો હતો, અને અધૂરામાં પૂરું ખેલ સરખો પાડવા માટે હરપાલસિંહને રીક્ષામા બેસાડી અપહરણ કરી અને આશિષ માડમની ઓફીસે લઇ જઇ આશિષ માડમ અને તેના માણસે ઢીકાપાટુનો માર મારી મુઢ ઈજાઓ પહોચાડતા પિતા પુત્રને સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા,
બનાવ સંદર્ભે નવાગામમાં જ વસવાટ કરતા હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા સીટી બી ડીવીઝનમાં ભાજપના નવાગામ વિસ્તારના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર આશિષ કેશુ માડમ, આશિષનો માણસ અને અન્ય ૧૨ જેટલા અજાણ્યા ઈસમો એમ મળી કુલ ૧૪ શખ્સો સામે અપહરણ, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી, ગુન્હાહીત કાવતરું સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા પી.આઈ.જે.વી.રાઠોડે તપાસ હાથ ધરી છે.
-મામલાને લઈને કેશુ માડમે કહ્યું કે..
આ મામલે માયસમાચાર દ્વારા કેશુ માડમની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને કહ્યું કે માથાકૂટ થઇ તે વાત સાચી છે, પણ મારો છોકરો ત્યાં હાજર નહોતો, તે દ્વારકા માતાજીના દર્શન કરવા ગયો હતો, અને તેનું ખોટું નામ આવ્યું હોવાનું તેમને જણાવ્યું હવે આ મામલે સત્ય શું તે પોલીસ તપાસમાં સામે આવશે.