Mysamachar.in-જામનગર:
આમ તો આપણે ત્યાં ડોક્ટરોને ભગવાનનું બીજું નામ આપવામાં આવે છે, અને આજે શિક્ષિત સમાજમાં પણ કેટલાય લોકો એવા છે કે ડોક્ટરો પાસેથી સારવાર લેતા સમયે “સાહેબ તમે કરો તે બધું બરોબર તમારા પર છોડ્યું” વગેરે શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે, પણ જયારે આવા તબીબો જ ગંભીર બેદરકારી દાખવે અને દર્દીનું મોત થઇ જતા પણ સમય નથી લાગતો, જામનગરમાં બધાને યાદ હશે કે તાજેતરમાં જ ટાઉનહોલ નજીક ગાયનેકોલોજીસ્ટ ડો.સાઠેય ની હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલા પોલીસકર્મીનું મોત બેદરકારીથી થયાની ફરિયાદ પણ નોંધાઈ હતી, આ ઘટના હમણાંની જ લાગે ત્યાં જ જામનગરના બે ખાનગી તબીબો વિરુદ્ધ બેદરકારી દાખવવાથી એક ચાર વર્ષની માસુમ બાળકીના મોત અંગે મહિનાઓની તપાસના અંતે કલમ ૩૦૪ હેઠળ ગુન્હો નોંધાતા તબીબી આલમમાં આ મામલે જોર પકડ્યું છે,
જે ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે તેના પર નજર કરવામાં આવે તો શહેરના રણજીતસાગરરોડ પર આવેલ મયુરટાઉનશીપમાં વસવાટ કરતા મીતેશભાઇ ભંડેરીની લાડલી એવી સાડાચાર વર્ષની દીકરી મિશ્રીને ડાબાસાથળમાં થી સળિયા કાઢવાનું ઓપરેશન ૨ જુન ૨૦૧૯ ના રોજ આશુતોષ હોસ્પિટલ ડો.મિલિન્દ પોરેચાની હોસ્પિટલમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જ્યાં એનેસ્થેસિયાના તબીબ ડો.નીરવ કાચા દ્વારા બાળકી મિશ્રીને એનેસ્થેસિયા આપવામાં આવેલ હતું. અને ડો.પોરેચાએ સારવાર શરુ કરી હતી, ઓપરેશન પૂર્ણ થયા બાદ કલાકો સુધી બાળકી ભાનમાં જ ના આવતા ડો.મિલિન્દ પોરેચા અને એનેસ્થેસિયા આપનાર તબીબ ડો. નીરવ કાચાએ બાળકી મરણ ગયાનું જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યાની સ્થિતિ નું નિર્માણ થયું હતું, પરિવારજનો દ્વારા ઘટના સમયે પણ બન્ને તબીબો પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા, અને પોલીસમાં આ અંગેની જાણ કરાઈ હતી, છ મહિનાથી વધુની તપાસ જરૂરી રીપોર્ટ બાદ અંતે પણ માસુમના ઓપરેશનમાં બેદરકારી દાખવનાર બન્ને તબીબો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ ૩૦૪ હેઠળ ગુન્હો નોંધી પીએસઆઈ સીટી બી ડીવીઝન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.