Mysamachar.in-જામનગર:
હાલારની અમુક ખાનગી શાળાઓએ મનમાનીમાં માઝા મુકી છે, હવે તેની સામે ઝુંબેશની જ્વાળાઓ જાગી છે.. અને તેમા સહયોગ આપવા mysamachar એ પણ આહવાન કર્યુ છે, કે જે કોઇ બાબતો રજુઆતો ફરિયાદો નક્કર હશે તો ચોક્કસ વાચા અપાશે જો કે શિક્ષણ હાટડાઓ મુદે લડત સમિતિઓ વ્યાપક હિતમા લડતોના મંડાણ કરનાર આ સમિતિઓના અમુક સભ્યો એ શાળાઓની મનમાનીની વિગતો ખુલ્લી પાડી છે, આ પહેલાં શાળાઓ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હોવાથી વાલીઓ નારાજ થયા છે. ખાનગી શાળાઓ દર વર્ષે ફીમાં વધારો કરી રહી છે તે અંગે બધા વાલીઓ ભેગા થઈને શિક્ષણમંત્રીની મુલાકાત લેવાના હોવાનું જાણવા મળ્યું છે,
અગાઉ જો કે ખાનગી શાળાઓ દ્વારા ફીમાં કરવામાં આવેલા વધારાના વિરોધમાં વાલીઓ ભેગા થયા હતા. ત્યારે શિક્ષણમંત્રી એ ફીમાં મોટો વધારો કરનારી શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું, પરંતુ આવી શાળાઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નહોતી. ખાનગી શાળાઓમાં ફી વધારો કરવા માટે ‘પેરેંટ ટીચર્સ એસોસિયેશન’ (પીટીએ)ની મીટિંગ બોલાવવી જરૂરી છે. આ મીટિંગમાં ફી વધારાને માન્યતા મળ્યા પછી જ ફીમાં વધારો કરી શકાય છે. દર વર્ષે શાળાઓને ફીમાં વધારો કરવાની પરવાનગી નથી, આમ છતાં આ નિયમની ઐસીતૈસી કરવામાં આવે છે.
ખાનગી શાળાઓના મનસ્વી કારભાર પર અંકુશ મેળવવા માટે શિક્ષણ વિભાગ પાસે અનેક ફરિયાદો નોંધાવવામાં આવી છે, પરંતુ શિક્ષણ વિભાગ આ ફરિયાદો તરફ આંખ આડા કાન કરી રહ્યો છે. ખાનગી શાળાઓમાં ફી-વધારો અતિ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. દર વર્ષે શાળાની ફી માં વધારો થતાં વાલીઓ પર આર્થિક બોજો આવી પડે છે, પરંતુ શાળા પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે શિક્ષણ વિભાગને અનેક પત્રો લખેલા છે, પરંતુ તેનો કોઈ ફાયદો ન થતો હોવાનું વાલીએ કહ્યું હતું., હવે વાલીઓ લડી લેવાના મુડમા હોવાનુ જણાવી લડત સમિતિઓ બનાવી નક્કર લડતના મંડાણ કરવાની તૈયારી થઇ હોય ખાનગી શાળાઓની મનમાની ગેરરીતિઓ અને જિલ્લા શિક્ષણ કચેરીની સકારણની શિથિલતાની અનેક વિગતો બહાર આવી રહી છે.