Mysamachar.in-જામનગરઃ
દ્વારકાના ખંભાળિયા તાલુકામાં આવેલા નયારા એનર્જી કંપની ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. આ વખતે લાલપુર મામલતદારને અરજી કરવામાં આવી છે કે નયારા એનર્જી દ્વારા મોડપર ગામે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે ગામજનોને પોતાના ખેતરે જવામાં ભારોભાર મુશ્કેલીઓ પડી રહી છે. તો નિયમ પ્રમાણે આસપાસના ગામના યુવાનોને રોજગારીમાં અગ્રીમતા આપવાની હોય છે, જે નિયમનો પણ ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે. નયારા એનર્જી કંપની દ્વારા રેલવે પાટા તથા ગૌચરની જમીનમાં દબાણ કર્યું છે. જેના કારણે ત્યાંના ખેડૂતોના ખેતરે જવાના રસ્તા બંધ કરેલા છે. ખેતરનો રસ્તો બંધ થઇ જતા ખેડૂતો પોતાનો ભારે માલ સામાન લઇ જઇ શકતા નથી. તો અહીં આવેલા મેલડી માતાના મંદિરે આવતા દર્શનાર્થીઓને પણ ભારે હાલાકી પડી રહી છે. કંપની દ્વારા મોડપર અને રાસંગપરમાં કોઇ સુવિધા કે સ્થાનિક યુવાનોને રોજગારીનો લાભ આપવામાં આવી રહ્યો નથી. આ અંગે તપાસ કરી તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માગ ઉઠી છે.