Mysamachar.in-ગાંધીનગરઃ
નવા વર્ષની શરૂઆત થઇ ચૂકી છે. લોકો નવા વર્ષે ખરાબ ટેવ દૂર કરવાના સંકલ્પ લેતા હોય છે, પરંતુ ખરેખર સંકલ્પ લેવાની જરૂર વિવિધ સરકારી ખાતાના કેટલાક અધિકારીઓને છે. કારણ કે ગુજરાત ભ્રષ્ટાચારના ભરડામાં ફસાઇ ગયું છે, એન્ટી કરપ્શન બ્યૂરોએ વર્ષ 2019માં વિવિધ સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આંકડા જાહેર કર્યા છે. જેમાં સરકારના જુદા જુદા વિભાગોમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દુરઉપયોગના કુલ ૨૫૫ કેસો નોંધીને ૪૧૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં સૌથી રોચક વાત એ છે કે સૌથી વધુ ભ્રષ્ટ ગૃહ વિભાગ છે, તથા સૌથી વધુ ભ્રષ્ટાચાર વર્ગ-3ના કર્મચારીઓ આચરી રહ્યાં છે.
ACBના આંકડા પ્રમાણે વર્ગ-૧ના ૧૬ અધિકારી, વર્ગ-૨ના ૬૨, વર્ગ-૩ના ૧૮૭ અને વર્ગ-૪ના ૮ લાંચિયા ઝડપાયા હતા. લાંચિયા સરકારી બાબુઓ વતી ૧૪૪ ખાનગી વ્યકિતઓ લાંચ લેતા પકડાયા હતા. જેમાં સૌથી ભષ્ટ ગૃહખાતાના કુલ ૬૭ કેસો, બીજા નંબરમાં પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણમાં ૩૪ અને ત્રીજા નંબરમાં મહેસૂલ ખાતામાં ૩૨ કેસો કરવામાં આવ્યા હતા. ૨૦૧૯માં અપ્રમાણસરના ૧૭ કેસો નોંધવામાં આવ્યા છે. જેમાં લાંચીયા અધિકારીઓ દ્વારા અપ્રમાણસરની વસાવવામાં આવેલી ૨૭,૭૨,૨૩,૬૯૩ કરોડની મિલકતો શોધી કાઢી છે. જેમાં એક કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત ધરાવતા હોય તેવા ૭ કેસોનો સમાવેશ થાય છે.
કેમ વધી ગયો ભ્રષ્ટાચાર ?
લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા બાતમીના આધારે છટકા ગોઠવી લાંચના કેસો તો કરવામાં આવે છે, પરંતુ તેને સાબિત કરવામાં મોટાભાગના કેસમાં નિષ્ફળ નીવડે છે. લાંચ લેનારાઓ પકડાવા છતા પૂરાવાના અભાવે તેમને સજા થતી નથી, જેના લીધે તેઓ બેફામ બની ગયા છે. તો કેટલાક લાંચિયાઓ બુદ્ધિનો ઉપયોગ કરી એવી રીતે લાંચ સ્વીકારે છે કે તેને સાબિત કરવી મુશ્કેલ બની જાય છે. તહેવારોમાં ગિફ્ટથી લઇને ખુદ ACBના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સાથે મીલીભગતને કારણે ભ્રષ્ટાચાર સાબિત થતો નથી. કેટલાક કિસ્સામાં લોકો સત્તાધારી અધિકારીઓથી ડરી રહ્યાં છે જેના કારણે તેઓ ACBનો સંપર્ક સાધવાનું ટાળી રહ્યાં છે. ખેર આ તો હતા 2019ના આંકડા છે, શું લાંચિયાઓ નવા વર્ષથી ભ્રષ્ટચાર નહીં કરવાનો સંકલ્પ લેશે ખરા ?.