Mysamachar.in-જામનગર:
શહેરમા ગેરકાયદેસર બાંધકામને આખરી નોટીસ બાદ પણ મહાનગરપાલિકા દ્વારા બબ્બે કે ત્રણ-ત્રણ વર્ષ સુધી તોડી પડાતા નથી,જે માટે ટીપીઓ અને એસ્ટેટ શાખાની કંઇક સમજુતી હોવી જોઇએ તેમ લાગે છે,જો બાંધકામ ગેરકાયદેસર જણાતુ હોય મંજુરી વગરનુ હોય તો પહેલા ટાઉનપ્લાનીંગ એક્ટ ની કલમ ૨૬૦-૧ ની નોટીસ અપાય છે,અને ખુલાસો કરવામા આસામી નિષ્ફળ જાય તો ૨૬૦-૨ હેઠળ નોટીસ આપી તે બાંધકામ તોડી પાડવા એસ્ટેટ વિભાગને પ્રકરણ મોકલી અપાય છે.
આવા પ્રકરણોની જોવા મળેલી યાદી અને તેની વિગતો ઉપરથી જાણવા મળ્યુ છે કે અમુક નોટીસો વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭ ની છે,તો આટલા વર્ષો સુધી એસ્ટેટ વિભાગ કેમ કામ કરતુ નથી,બબ્બે ત્રણ-ત્રણ વર્ષ સુધી આવા પ્રકરણો દબાવી રાખે છે? તેની પાછળ કોઇ હેતુ સમાયેલો હશે? તેવા અનેક સવાલો પણ કામગીરી સામે ઉઠી રહ્યા છે.
ખાસ "રક્ષણ" કે ઇમ્પેક્ટની પ્રતિક્ષા?
આવા બાંધકામ જે તોડી પાડવાના હુકમ થયા હોવા છતા લાંબો સમય પગલા ન લઇ ખાસ "રક્ષણ" અપાઇ રહ્યુ છે કે પછી તેની પાછળ ચોક્કસ કારણો કે લાભ કે ચોક્કસ રાજકીય ભલામણો કામ કરે છે? અથવા ઇમ્પેક્ટની યોજનાની રાહ જોવાય છે ? કેમ કે ઇમ્પેક્ટમા અમુક પહોંચતા પામતાના જોગવાઇ ન હોવા છતા પાર્કિંગોમાં અને અગાસીઓમા થયેલા બાંધકામ રેગ્યુલરાઇઝ્ડ કરી અપાયાના ઉદાહરણો ખુદ કોર્પોરેશનના સુત્રો આપે છે.અકળ કારણોસર પગલા ન લેવાય તો દેખીતું છે કે આંગળી તો ચિંધાય જ તેની સામે અમુક જગ્યાએ તોડફોડ કરવા માટે કોઇ કારણસર તંત્ર ખુબજ સ્ફુર્તિ બતાવે છે તો ક્રમસર પગલા કેમ લેવાતા નથી?