Mysamachar.in-જામનગર:
મોદી ગ્રુપ સ્કૂલે વર્ષ 2020-21 માટેના એડમિશન શરૂ કર્યા છે, જેની હાલ સુધી મંજૂરી જ નથી એવી લાલપુર રોડ ઉપરની મોદી સ્કૂલનો સમાવેશ પણ પ્રવેશ ઓપનની જાહેરાત છાપવામાં આવી છે.વગર મંજુરીએ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેનાર લાલપુર રોડ ઉપર આવેલી મોદી સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીએ શરમે ધર્મે બંધ કરાવ્યા પછી મોદી સ્કૂલના સંચાલકોએ 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશની જાહેરાત અખબારોમાં પ્રસિધ્ધ કરાવી છે. આ જાહેરાતમાં લાલપુર રોડ ઉપરની મોદી સ્કૂલનો પણ સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
જોકે લાલપુર રોડ ઉપરની મોદી સ્કુલને તો આજ દિવસ સુધી મંજૂરી જ નથી, સ્થાનિક કક્ષાએથી ના-મંજૂર થયા બાદ મોદી સ્કૂલના સંચાલકો અપીલમાં ગયા હતા, આ અપીલ પણ 30-9-19 ના રોજ ફગાવી દેવાઈ હતી.હવે જે સ્કૂલની મંજૂરી જ નથી, અને ડીઇઓની સૂચનાથી આ સ્કૂલ તબદીલ કરવાની ફરજ પડી છે, એ સ્કૂલમાં પ્રવેશ કેમ આપી શકાય ? એ પણ એક પ્રશ્ર્ન છે. મોદી સ્કૂલના સંચાલકો નિયમો તો ઘૉળીને પી જવા ટેવાયેલા છે, એન કેન પ્રકારે સ્કુલનું મસ મોટું બિલ્ડીંગ ખડકી દીધું છે, હવે આ સ્કૂલમાં વિધાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા શરુ પણ કરી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે.
ડીઈઓ હજી દંડથી બચી રહ્યા છે
મંજૂરી વિનાની સ્કૂલ શરૂ કરવા માટે નિયમ મુજબનો પ્રથમ તો એક લાખ સુધીનો દંડ અને જેટલા દિવસ સ્કુલ કાર્યરત રખાય એટલા દિવસ દૈનિક 10,000 રૂપિયા દંડ કરવો પડે છે, પણ શિક્ષણ અધિકારીની ટીમે જ સ્થળ નિરીશિક્ષણ કર્યા બાદ પુરાવાના આધારે આ સ્કુલ બંધ કરાવી હતી, તો નિયમ મુજબનો દંડ પણ કરવો જ પડે, જોકે ચાર ચાર મહિના સુધી મોદી સ્કુલમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યા પછી ડીઈઓ ડોડીયા દંડ કરવા પૂછડું ઉપાડતા નથી
અમે મંજુરીની અપેક્ષાએ જાહેરાત આપી છે:પારસ મોદી
લાલપુર રોડની મોદીસ્કુલને હજુ સુધી મંજુરી મળી નથી ત્યારે આ જાહેરાત કેવી રીતે.? તે બાબતે જયારે મોદી સ્કુલના સંચાલક પારસ મોદીની ટેલીફોનીક પ્રતિક્રિયા માયસમાચાર દ્વારા લેવામાં આવી ત્યારે તેમને કહ્યું કે અમને મંજુરી મળશે તેવી અપેક્ષાએ આ જાહેરાત પ્રસિદ્ધ કરી છે.એટલે કે મતલબ સ્પસ્ટ થયો કે હજુ સુધી મંજુરી મળી નથી.