Mysamachar.in-જામનગરઃ
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જામનગરમાં વધુ એક વ્યક્તિએ આયખુ ટુંકાવી લેતા ચકચાર મચી છે. મૃતક વ્યક્તિને છેલ્લા પાંચ વર્ષથી વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલો હતો, અંતે તેણે આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા આ શખ્સે ચાર પાનાની સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે જણાવ્યું કે 'હું ફસાઇ ગયો છું, વ્યાજખોરોથી કંટાળી ગયો છું. મને મારવાની ધાક ધમકી આપે છે', વધુમાં તેણે જણાવ્યું કે તે વ્યાજખોરોના ત્રાસથી છેલ્લા પાંચ વર્ષથી પરિવારથી અલગ રહેતો હતો. સાથે જ તેણે જણાવ્યું કે વ્યાજખોરોએ તેની જમીન પડાવી લીધી છે અને બદલામાં રૂપિયા પણ આપ્યા નથી. પોલીસે સમગ્ર વિગત નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગરમાં પટેલ પાર્ક, શેરી નંબર 3માં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં 40 વર્ષિય વિપુલ સંઘાણીએ દવા પીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા વિપુલભાઇએ ચાર પાનાની સુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. સુસાઇડ નોટમાં વિપુલભાઇએ લખ્યું કે 'હું વ્યાજખોરોની હેરાનગતિને લીધે આત્મહત્યા કરું છું, મારા મર્યા પછી કોઇએ મારા ફેમિલીને હેરાન ન કરવી. કારણ કે હું પાંચ સાલથી નોખો છું. પોલીસને જણાવવાનું કે વ્યોજખોરોનો ધંધો બંધ કરવો છે'. 'હું મારા ફેમિલીથી પાંચ વર્ષથી અલગ હતો અને મારા ફેમિલીને કોઇ જાણ નથી. મારી જમીન લખાવી લેવામાં આવી છે. મારા ભાઇની ગાડી મે એક લાખમાં મુકેલી છે. એના મને રૂપિયા પણ આપેલા નથી'. સુસાઇડ નોટમાં છેલ્લે વિપુલભાઇએ લખ્યું કે 'મારી દીકરીનું ધ્યાન રાખજો અને તેની સાર સંભાળ રાખજો, મારી ભુલચૂક માફ કરશો'. હાલ પોલીસે સુસાઈડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે.