Mysamachar.in-જામનગરઃ
જામનગરથી માત્ર 104 કિમી દૂર પ્રાંસલા ખાતે ધર્મબંધુજી દ્વારા 22મી રાષ્ટ્રકથા શિબિર યોજાઇ છે. 28મી ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી યોજાનારી આ શિબિરમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ સહિત 22 રાજ્યના અંદાજે બાર હજારથી વધુ યુવક યુવતીઓ એકત્ર થશે. અહી વહેલી સવારના પાંચ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી જુદા જુદા વિભાગોમાં સઘન પ્રશિક્ષણ કાર્યક્રમ ચાલશે. તો આ શિબિરમાં દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ, તામીલનાડુના રાજયપાલ બી.એલ. પુરોહિત, મેઘાલયના ગવર્નર તથાગત રોય મુખ્ય મહેમાન બનશે.
શિબિર દરમિયાન સવારે ચાર કલાકે ઉત્થાન, પાંચ વાગ્યે દેશભકિતના ગાન સાથે દિનચર્યાનો પ્રારંભ થશે. બાદમાં યોગા સૈનિક શિક્ષા, જૂડો, કરાટે, માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ, મહાનુભાવોના પ્રવચન, માર્ગદર્શન, અલગ અલગ એકસપર્ટના કાયદા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, સુરક્ષાના અભ્યાસલક્ષી વર્ગ, તજજ્ઞો સાથે ગાષ્ઠિ, પ્રશ્નોતરી, સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરાર્થીઓની સલામતિ માટે સંખ્યાબંધ ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જવાનો દ્વારા શિબિરાર્થીઓને શારિરીક કૌશલ્યની દરરોજ તાલીમ આપવામાં આવશે. શિબિર સ્થળે સુરક્ષાના તમામ સાધનોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. ઈસરો અને હવામાન વિભાગના સાધનોનું નિર્દશન યોજાશે. આ સિવાય ભારતીય લશ્કરના જવાનો આધુનિક શસ્ત્રોની સાથે ઘોડેસવારીની તાલીમ આપશે. ગાંધીનગરની NDRFની ટીમ પણ તાલીમ આપશે. વિવિધ રાજયોના વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.