Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં કોરોનાના છૂટાછવાયા કેસો વચ્ચે ગઈકાલે એકીસાથે 7 કેસો નોંધાતા જામનગર મનપાનું આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું હતું, મનપાના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે જે 7 કેસો ગઈકાલે પોજીટીવ આવ્યા છે તે સાત વ્યક્તિઓનો પરિવાર થોડા દિવસ પહેલા લગ્ન પ્રસંગ માટે જામનગરથી અન્ય જિલ્લામાં ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો પરિવારના સભ્યોમાં દેખાઈ આવતા આ અંગેનું પરીક્ષણ કરવામાં આવતા પરિવારના એક બાળક સહિત તમામ કોરોના પોઝિટીવ હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેમાંથી પરિવારના એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળક સહિતના બાકીના છ સભ્યોને હોમ આઇસોલેટ કરાયા છે.
આ ઉપરાંત પોજીટીવ આવેલ આ 7 દર્દીઓના સંપર્કમાં અન્ય કોણ કોણ આવ્યું હતું. તેની વિગતો એકઠી કરીને મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટ્રેકીંગની કામગીરી હાથ ધરી છે. તેમજ દર્દીના રહેણાંક વિસ્તારમાં પણ જરૂરી દવાનો છટકાવ અને તપાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરથી એટલી વાત સ્પષ્ટ છે કે કોરોનાએ સંપૂર્ણ વિદાય લીધી નથી અને ક્યાંક ને ક્યાંક તેની હાજરી જોવા મળી રહી છે.માટે જ હાલ ચાલી રહેલ લગ્નસરાની સીઝનમાં લોકોએ એલર્ટ રહી માસ્કનો ઉપયોગ તેમજ વારંવાર હાથ ધોતા રહેવુ હિતાવહ છે.