Mysamachar.in-ગુજરાત:
ટેકનોલોજી અને ઇન્ટરનેટની ઘણી બધી વાતો ચગાવીને કરવામાં આવે છે પરંતુ આપણાં દેશમાં મોબાઇલ વપરાશકારોની મોટી સંખ્યાની સરખામણીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી પછાત છે ! તેથી કરોડો ગ્રાહકો નબળી નેટ સ્પીડ અને કોલ ડ્રોપ મુદ્દે વર્ષોથી પરેશાન છે. બીજી તરફ, ફાઈવ જી નાં ગુણગાન ગવાઈ રહ્યા છે ! આપણી અશક્તિ અંગે હવે,કેન્દ્ર સરકારનાં ટેલિકોમ વિભાગને જાગવું પડ્યું છે અને કેન્દ્રીય એજન્સી ‘ ટ્રાઈ ‘ ને આ અંગે સૂચના આપવામાં આવી છે.ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમએ કેન્દ્ર સરકારની એજન્સી ‘ ટ્રાઈ ‘ ને આ મુદ્દાઓ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં નેટની સ્પીડ અને કોલ ડ્રોપ અંગે ખાસ અને વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
DoTએ TRAIને કહ્યું: પૂઅર મોબાઈલ નેટવર્ક અને કોલ ડ્રોપ અંગેની ફરિયાદો ઘટવાનો દર સંતોષજનક નથી. ટેલિકોમ સેક્ટરમાં પુષ્કળ ફરિયાદો છે. મોબાઈલ કંપનીઓએ આ સેવાઓમાં સુધારાઓ માટે યોગ્ય પગલાં લીધાં નથી ?! શા માટે આટલી બધી ફરિયાદો રેકર્ડ પર જોવા મળી રહી છે ?! ટ્રાઈને કહેવામાં આવ્યું છે કે, મોબાઈલ કંપનીઓને ગ્રાહક સેવા સુધારવા સૂચનાઓ આપવામાં આવે. સેવાઓની નબળી ગુણવત્તાને DoTએ ચિંતાનો વિષય લેખાવ્યો છે. અને, TRAIને આ મુદ્દે તાકીદ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી મોબાઈલ કંપનીઓને સરકાર દ્વારા તગડું પેકેજ ( રાહત સહાય) આપવામાં આવ્યું છે, આમ છતાં મોબાઈલ કંપનીઓની સેવાઓમાં સુધારાઓ થયાં ન હોય, કોમ્યુનિકેશન પ્રધાન અશ્વિની વૈષ્ણવ ખુદ નારાજ છે. તેઓ ક્વોલિટી સેવાઓ અંગે ચિંતિત હોવાનું સમજાઈ રહ્યું છે.
ટેલિકોમ મંત્રી પણ કહી રહ્યા છે કે, નવાં ટાવરો ઉભાં કરવા, ઓપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવા વગેરે બાબતોમાં કંપનીઓને ઘણી સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે કંપનીઓએ સેવાનું સ્તર સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. સેવાની ક્વોલિટી અહમ મુદ્દો હોવાનું તેઓએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ટેરિફ (સેવાદરો) તથા સેવાની ગુણવતા – બંને બાબતો અંગે ચુસ્ત રહેવાની જવાબદારી TRAI ની છે. આ જવાબદારી યોગ્ય રીતે બજાવવામાં આવતી ન હોય, હાલની સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે !
કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું છે કે, મોબાઈલ કંપનીઓએ ટાવરો ઉભાં કરવા સ્પીડ વધારવી જોઈએ. હાલમાં દર સપ્તાહે દેશભરમાં 2,500 નવાં ટાવર લગાડવામાં આવે છે તે ઝડપ વધારીને પ્રતિ સપ્તાહ 10,000 ટાવરની કરવી જોઈએ. તો જ દેશમાં ફાઈવ જી સેવાઓ ઝડપથી અને વ્યાપક પ્રમાણમાં પહોંચી શકે. સો મણનો સવાલ એ છે કે, ગ્રાહકોની ચિંતા ન કરતી કંપનીઓ નફાને બદલે સેવાની ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરશે ? કે નહીં ?!