Mysamachar.in-જામનગર:દેવભૂમિદ્વારકા:
સમગ્ર હાલારના બંને જિલ્લાઓના અમુક અમુક ઉદ્યોગોથી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જાણે “સોશ્યલ ડીસ્ટન્સ” રાખતુ હોય તેવુ જાણકારોમાં ચર્ચાય છે, કેમ કે અનેક ફરિયાદ અરજીઓ ધુળ ખાય છે છતા નમુનાઓ લેવાતા નથી એટલુ જ નહી ઇન્સ્પેક્શન પણ રેગ્યુલર થતા નથી અને જો થાય છે તો ફોર્માલિટી પુરી કરાતી હોય તેમ પત્રકો ભરી ક્યાંક વળી છાને ખુણે અસર વગરની નોટીસ પાઠવાય છે તેમ પણ સુત્રો જણાવે છે, તેમજ મંજુરીઓ વખતેની તમામ શરતોના પાલન થઇ રહ્યા ન હોય તેવા અનેક કિસ્સાઓ છે, તેની ફરિયાદો કરવાવાળા પણ તૈયાર છે પણ ફરિયાદો બહેરા કાને અથડાઈને પાછી આવે છે,
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગરમાં કાર્યરત રીજીયોનલ કચેરી દ્વારા હાલારના જામનગર અને દ્વારકા જિલ્લાના પ્રદુષણો સામે લાજ કાઢવામાં આવતી હોય તેવુ લાગે છે કેમકે બંને જિલ્લાઓના વિસ્તારમાં જમીન, પાણી, હવા, ખેતર, બોર વગેરેમાં પ્રદુષણ થતા હોવાની અવાર નવાર ફરિયાદો ઉઠે છે, આવી અનેક લેખિત અને મૌખિક ફરિયાદો બાદ કોઇ ઠોસ પગલા લેવાયા નથી ત્યાં સુધી કે હજુ સુધી એક પણ મોટા એકમને (ખંભાળિયા પાસેના એક યુનીટને બાદ કરતા) કલોઝર અપાયુ હોય કે મસમોટા દંડ થયા હોય તેવો દાખલો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બેસાડવામાં આવ્યો નથી જેના ઘણા કારણો અને તારણો છે.
બીજી તરફ મીઠાપુર-આરંભડાથી માંડી છેક વાડીનાર સુધી તેમજ વાડીનાર થી સિક્કા સુધી પથરાયેલા જુદા- જુદા મોટા એકમો અને મધ્યમ એકમો દ્વારા અવાર-નવાર આમ તો નિયમીત પ્રદુષણ ફેલાવાય જ છે, તેવુ અનેક મૌખીક લેખીત ફરિયાદો ઉપરથી તારણ નીકળે છે, તેમજ આ પ્રદુષણથી ખેતીની જમીન બગડે છે, પાણીના તળ અને બોરકુવા બગડે છે હવા બગડતા શ્વાસમા ઝેરી રસાયણો જાય છે ખેતી સિવાયની જમીન પણ બગડે છે આ રીતે બગડતા હવા-પાણી-જમીનમાંથી કોઇ પણની સ્થિતિ સુધરતી નથી અને બગડતી જ જાય છે તે સમગ્ર નુકશાની પ્રદુષણ નિયંત્રણ બોર્ડ માત્ર જોયા કરે છે અને કોઇ નક્કર પગલા જાતે તો લેતુ નથી પરંતુ ફરિયાદ ઉપર પણ ગંભીરતા લેતુ નથી.
મીઠાપુર સહિત ઓખા મંડળમાં બંદરથી માંડી દરિયાના પાણી અને ખેતીની રહી સહી જમીનમાં પ્રદુષણ પેસી ગયા છે તેવીજ રીતે જામનગર જિલ્લાના દરિયા કિનારા અને જમીનોમાં બંદરો ઉપર તેમજ અનેક ગ્રામ્ય વિસ્તારોમા પ્રદુષણ વધતુ હોવાની અમુક સ્થળે ચિંતાજનક સ્થિતિ હોવાનુ જાણવા મળે છે, તેવામાં અધુરામાં પુરૂ વળી કુરંગા પંથકમાં પ્રદુષણનો પગપેસારો શરૂ થઇ ગયો જેને ઉગતો ડામવામાં બોર્ડને જાણે રસ જ નથી તો વળી પ્રદુષણના મથક તરીકે પંકાયેલા પરડવા-વાડીનાર -પડાણા-સિક્કા વગેરે સહિતના પંથકોના ગામોની જમીનમાં તો જાણે ઝેર પ્રસરી ગયુ છે છતાય પગલા લેવાયા નથી એટલુ જ નહી વાડીનાર પંથકમાં તો આરોગ્ય સર્વેક્ષણમાં ગંભીર રોગોના કારણ પ્રદુષણ હોવાના રિપોર્ટ સરકારી ફાઇલો દબાવેલા પડયા છે છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જાણે નિયંત્રણ વગરનું પ્રદુષણ થતુ જોતુ રહેવાનું કાર્યાલય હોય તેવો ઘાટ ઘડાયો છે કેમ કે કોઇ નક્કર પગલા જ લેવાયા નથી.
જામનગર અને દ્વારકા જિલ્લામાં મોટા ઉદ્યોગો અથવા તો મોટા માથાના કારખાનાઓ સામે તેમજ દરિયાઇ પ્રદુષણ અંગે પગલા ન લેવા માટે ઉપરથી દબાણ હોવાની ચર્ચા છે કેમકે આજુબાજુમાં ભુકી-રજકણ ઉડતા હોય, પાણી દુષીત થયા હોય, જમીન બગડી ગઇ હોય તેવા વાતાવરણમાં કેમ રહી શકાય? તેમજ કુદરતી સંપદાઓ બગડે તે પણ કેમ ચલાવી લેવાય??