Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં આવેલી જુની તાલુકા શાળા સામેના દેરાસરમાં ગતરોજ વહેલી સવારે લુખ્ખા તત્વોએ સાધુઓ સાથે ગેરવર્તન કરી અને દેરાસર બહાર તેમજ અંદર તોડફોડ કરી હતી. તેમજ દેરાસરની બહાર પાર્ક કરેલાં વાહનોમાં પણ તોડફોડ કરતા જૈન સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતોં અને જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી ગયા હતા, તો એ ડીવીઝન પોલીસે પણ તુરંત જ હરકતમાં આવી જઈ અને બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી છ લુખાગીરી કરનાર તત્વો સામે ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો છે, વધુમાં જૈન દેરાસરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોવાના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતા જે પણ પોલીસે તપાસના કામે કબજે કર્યા છે,
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને તાત્કાલિક એક્શનમાં આવીને તોડફોડ કરી સાધુ સાથે અયોગ્ય વર્તન કરનારા લુખ્ખા તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે પોલીસે કૌશિકભાઈ ઝવેરીની ફરિયાદ પરથી પ્રિતેશ ઉર્ફે પિન્ટુ ભરત પટેલ, પ્રદિપસિંહ અજીતસિંહ વાઘેલા, સંજય અશોક બાઉકીયા, જયવીર દિપક ચૌહાણ, નિર્મળ ઉર્ફે ત્રિકમ બેચર પઢીયાર, મદ્રાસી કરણ ઉર્ફે બાડો રાજેન્દ્ર નાયર વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે..
આરોપીઓએ ત્રણ ટુ વ્હીલ વાહનો લઇ આવી, મંદિરમાં એકાએક પ્રવેશ કરીને, મંદિરમાં હાજર પુજારીને તથા હાજર માણસોને રોકી, માર મારીને તેમને જાનથી મારી નાંખવાની ઘમકી આપી અને ગેરકાયદેસર રીતે અટકાયત કરી, જૈન મંદિરમાંથી ચાંદીનો નાનો કળશ કે એક સાચા મોતીનો હાર, એક સાચા મોતીનો સોનાના પેન્ડલ વાળો હાર એમ કુલ કિ.રૂા. 25,500 ના માલમતાની લુંટ કરી, મંદિરનો બહારનો મુખ્ય દરવાજો બંઘ કરી, તેમને પુરી દઇ, મંદિરની બહારના ચોકમાં પડેલ ત્રણ ફોર વ્હીલ વાહનોમાં આડેધડ પથ્થર મારી તોડફોડ કરી ફરિયાદી કૌશિકભાઈ તથા અન્યને માર મારી લુંટ ચલાવી સબબ ફરિયાદ નોંધાયા બાદ આગળની તપાસ એ ડીવીઝન પી.આઈ.એમ.જે.જલુ ચલાવે છે,
શહેરના માર્ગો પર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરી લોકો ભયમુકત રહી શકે તેવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ આવા હિચકારા હુમલાઓ જામનગર શહેર અને જીલ્લામાં પોલીસની ધાક ઓસરતી જતી હોવાનો પુરાવો પણ આપી રહ્યા છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ ગુન્હામાં 2 શખસોની અટકાયત કરવામાં આવી છે.