Mysamachar.in-ગાંધીનગર
કોરોનાના કહેર વચ્ચે લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે, લગ્નના આયોજન માટે પોલીસની મંજૂરી લેવાના નિયમ અંગે ગૃહમંત્રી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ છે કે, દિવસ દરમિયાન લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરી લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ સાથે જ તેમણે ફરીથી એવી અપીલ કરી હતી કે લગ્ન સમારંભોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ એમ પણ જણાવ્યું હતું, કે લગ્ન સમારંભો દરમિયાન બેન્ડવાજા કે વરઘોડો નહીં કાઢી શકાય. આ ઉપરાંત જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ છે ત્યાં રાતના સમયે લગ્ન સમારંભનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત લગ્નમાં સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 લોકો હાજર રહી શકશે. પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, લગ્ન સમારંભ અંગે 24મી નવેમ્બરના રોજ જે નિયમ જાહેર કરવામાં આવ્યા હતા તેના સંદર્ભે નવી સ્પષ્ટતા કરવામાં આવી છે. લગ્ન સમારંભમાં પોલીસની મંજૂરી જરૂરી છે કે નહીં તે અંગે અનેક લોકો તરફથી પૂછપરછ કરવામાં આવી હતી જે સંદર્ભમાં આ સ્પષ્ટતા કરી રહ્યા છીએ.