Mysamachar.in-જામનગર:
જામનગરમાં વસવાટ કરતા ઈન્ડીયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજા દ્વારા તાજેતરમાં જ તેમની પુત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી અને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું, પુત્રી નિધ્યાનાબાનાં પાંચમા જન્મદિવસ નિમિતે સમાજ સેવાનાં નવતર પ્રયાસ રૂપે સર્વે જ્ઞાતિના 101 દીકરીઓના પોસ્ટ ઓફિસ જામનગરમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવેલ અને રૂ.11000 એક ખાતા દીઠ ડીપોઝીટ કરાવેલ જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ લીધી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનાં કાર્યકાળનાં આઠ વર્ષ પુર્ણ થયેલ અને તેમનાં “સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધ દેશ” નાં ઉમદા સ્વપ્ન અને પ્રેરણાથી નિધ્યાનાબાના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીનાં ભાગરૂપે સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી, રિવાબા જાડેજા દ્વારા સુકન્યા સમૃદ્ધિ પોજના હેઠળ પ્રત્યેક 101 દીકરીઓ માટે રૂા.11 હજારનું પ્રિમિયમ ભરવામાં આવ્યું હતું. જેનો સરવાળો રૂ।.11,11,000 થાય છે. આ રીતે ક્રિકેટરના સુપુત્રીના જન્મ દિવસ નિમિત્તે 101 દીકરીઓનું કલ્યાણ થયું છે, જેની નોંધ લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રીવાબા જાડેજાને એક પત્ર લખી તેમાં તેમના આ કાર્યની પ્રશંસા કરી છે.
PM એ રીવાબાને પ્રશંસાનો પત્ર પણ મોકલ્યો છે, જેની તસવીર ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પીએમએ આ કપલના આ કામની જોરદાર પ્રશંસા તેમેને લખેલા પત્રમાં કરી છે, PM એ લખ્યું કે સમાજ માટે તમારા પ્રયાસોની સરકાર પ્રશંસા કરે છે. તેણે આગળ લખ્યું કે પોસ્ટ ઓફિસમાં 101 છોકરીઓ માટે ખાતું ખોલાવવાના તમારા ઈરાદા વિશે જાણીને ખૂબ આનંદ થયો. પુત્રી નિધ્યાના 5મા જન્મદિવસની ઉજવણી માટે દરેક ખાતામાં પ્રારંભિક રકમ જમા કરાવવાની પહેલ પ્રશંસનીય છે.અને આવા જ સમાજઉપયોગી કાર્યો કરતા રહે તેવી શુભકામના પણ પાઠવી છે.