Mysamachar.in-જામનગર:
જામનગરમાં વાલકેશ્વરી સોસાયટીમાં ગત્ મહિને એક જાણીતાં એડવોકેટનાં બંગલામાંથી, પરિવાર યાત્રાએ ગયો હતો ત્યારે, પાંચ દિવસનાં સમયગાળા દરમિયાન લાખો રૂપિયાનાં દાગીના અને રોકડ રકમની ચોરી થઇ હોવાનું જેતે સમયે પોલીસમાં જાહેર થતાં, આ સમગ્ર પોશ વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી. આ ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી લીધો છે અને એક પરપ્રાંતિય ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી લીધાં છે. આ શખ્સો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આજે ગુરુવારે બપોરે પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું હતું કે, સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનો આ ગુનો નોંધાયો હતો જેમાં રૂ. 34,27,000ની દાગીના-રોકડની માલમતાની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દાગીનાઓમાં સોનાનાં પાટલા, હાર , ચેન અને બ્રેસલેટ સહિતના દાગીનાઓનો સમાવેશ થતો હતો. પત્રકાર પરિષદમાં એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, આ ગેંગના સભ્યોએ કાશ્મીર સહિતનાં વિવિધ રાજ્યોમાં ઘણી બધી ચોરીઓને અંજામ આપ્યો છે, જે પૈકી સૌથી મોટી ચોરી જામનગરમાં કર્યા પછી આ ગેંગના સાગરિતો મુદામાલનો ભાગ પાડવાની ભાંજગડમાં પોલીસનાં હાથમાં ઝડપાઈ ગયાં છે.
આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી, સીસીટીવી ફૂટેજની ચકાસણીઓ કરી તથા બનાવનાં સ્થળનું યોગ્ય રીતે નિરીક્ષણ કર્યું હતું. પારધી ગેંગના આ સાગરિતો જુદાં જુદાં સ્થળોએ યોજાતાં મેળાઓમાં રમકડાં વેચવાનો ધંધો કરતાં અને સાથેસાથે જેતે શહેરમાં ચોરીનાં ગુનાને પણ અંજામ આપતાં તથા ચોરી કર્યા બાદ ગેંગના સાગરિતો જુદાં જુદાં રાજ્યોમાં અલગ અલગ રીતે વેરવિખેર થઈ જતાં અને એક ગુનો કર્યા પછી, પોતાની પાસેનાં મોબાઈલ નો પણ નાશ કરી નાંખતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ દરમ્યાન LCB ના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા શીવભદ્રસિંહ જાડેજાને તેઓના અંગત વિશ્વાસુ બાતમીદારથી હકિકત મળેલ કે, જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન મેળામાં રમકડા તથા ફુગ્ગા વેચવા માટે મધ્યપ્રદેશ રાજ્યના અશોકનગર તેમજ વિદીશા જીલાનાં પરપ્રાંતીય ઇસમો જામનગર મુકામે આવેલ આ ઇસમોએ જામનગર વાલકેશ્વરી સોસાયટી માં રાત્રી દરમ્યાન દરવાજાના તાળા તોડી ચોરીને અંજામ આપેલ હોવાની હકીકત મળેલ હતી.જેથી જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ હતી
જેમાં આ આરોપીઓના નામ સરનામાની વિગત મળેલ હતી, તેમજ ટેકનીકલ સર્વેલન્સના નિર્મળસિંહ જાડેજાતથા બળવંતસિંહ પરમારની મદદ લેવામાં આવેલ હતી. આ ઇસમોની તપાસ મધ્યપ્રદેશ રાજ્યના અશોકનગર,વિદીશા,ઉજજૈન,ગુના, જીલ્લામા તેઓના રહેણાક સ્થળે તથા આશ્રય સ્થાનાઓ તેમજ મેળામાં ધંધાના સ્થળ ઉત્તરપ્રદેશ રાજયના અલ્હાબાદ (પ્રયાગરાજ), જમ્મુ કાશ્મીર રાજયના જમ્મુ મુકામે ભગવતીનગર પાર્ક તપાસ કરવામાં આવેલ હતી.પકડાયેલ ઇસમો “પારધી ગેંગ” ના સાગ્રીત હોય તેલંગણા રાજયમાં વિજયવાડા ગનાવરમ, ગુટુર મંગલગીરી કમમ રેલ્વે પો.સ્ટે. તથા મધ્યપ્રદેશ રાજયના ના અશોકનગર થી શીપરી તેમજ વિદીશા, જીલ્લામાં ચોરીઓને અજામ આપેલ હોવાનું ખૂલવા આપેલ છે,
-એલસીબીની ટીમની કાબીલેદાદ કામગીરી…
આ ગુન્હો બન્યો ત્યારથી તેને ઉકેલી નાખવાનું ટીમ એલસીબીએ નક્કી કર્યું હતું અને તેના ફળસ્વરૂપ જ આટલી મોટી ગેંગ હાથ લાગી છે, સમગ્ર એલસીબી ટીમની આ ગુન્હો ઉકેલવામાં જહેમત છે પરંતુ વિશેષ એ 12 જવાનોની ટીમ જેને પોતાના ઘર પરિવારથી સતત 20 દિવસ દુર રહી અને અલગ અલગ સ્થળોએ આરોપીને શોધવા ફરતા રહ્યા તે ટીમ પ્રશંશાને પાત્ર અને તેની કામગીરી કાબીલેદાદ છે.
આ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે એલસીબી ટીમના પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, ASI સંજયસિંહ વાળા, દિલીપ તલાવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, શિવભદ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ ધાધલ, હરપાલસિંહ સોઢા, યોગરાજસિંહ રાણા, અજયસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોઝ ખફી, સહિતની ટીમે જામનગરથી શરુ કરીને પ્રથમ મધ્યપ્રદેશ બાદમાં ઉતરપ્રદેશ અને છેલ્લા જમ્મુ કાશ્મીર સુધી સતત વીસ દિવસ અને રાત એક કરી અને અંતે આરોપીઓ સુધી પહોચી જઈ અને પોલીસ ધારે તો ગમે ત્યાં સુધી પહોચી ગમે તે આરોપીને ઝડપી શકે છે તે સ્પષ્ટ કરી દીધું હતું.
વધુમાં જામનગર એલસીબીની કામગીરીથી ખુશ થઈને જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ ટીમના સભ્યોને 2100 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપવાની જાહેરાત પણ પત્રકાર પરીષદમાં કરી છે.
કોણ કોણ ઝડપાયું
-રાજુ રામદાસભાઇ મોગીયા
-અજય વિશ્વમાંદ પારથી
-ચાવલા બાબુરામ પોગીયા
– ફરાર આરોપી
-મંગલ માંગીલાલ મોગીયા
-સમીર રમેશભાઇ મોગીયા
-વિમલાબાઇ બાબુરામ મોગીયા