Mysamachar.in-જામનગર
ગુજરાતમાં આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. જામનગર જિલ્લામાં પણ ઘણાં કોન્ગ્રેસી કાર્યકરો ભાજપામાં પ્રવેશ મેળવી રહ્યા છે. અને “કોંગ્રેસ આવે છે નહી પરંતુ તૂટે છે” નું સૂત્ર સાર્થક થઇ રહ્યું હોય તેમ લાગે છે, આ સિલસિલો કોંગ્રેસના કબજામાં રહેલી કાલાવડ વિધાનસભા બેઠકમાં પણ જોવા મળે છે ! લઘુમતી સમાજના સંખ્યાબંધ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લેતાં કાલાવડ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કાલાવડ વિધાનસભા બેઠક હાલ કોંગ્રેસ પાસે છે. આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ભાજપા કોઈ કસર નહીં છોડે એવું ઘણાં દિવસોથી દેખાઈ રહ્યું હતું. આખરે એમ બનીને જ રહ્યું છે. કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. મતદાનનાં પાંચ દિવસ પહેલાં જ આ ઘા થતાં કાલાવડ કોંગ્રેસ સ્તબ્ધ બની ગઈ છે.
કાલાવડના વોર્ડ નંબર 5 ના કોંગ્રેસના પાલિકા સદસ્ય સદામ બારાડી તથા મુસ્લિમ સમાજના અંદાજે 600 થી વધુ કાર્યકરોએ એક્સાથે કોંગ્રેસથી છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં વાજતે-ગાજતે પ્રવેશ મેળવી લીધો છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુના માર્ગદર્શન હેઠળ આ આખું ઓપરેશન પાર પડ્યું છે. જેને કારણે કાલાવડ પંથકમાં કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. કેમ કે, આ અનામત બેઠક પરનાં કોંગ્રેસના ગત્ ચૂંટણીમાં થયેલાં વિજયમાં લઘુમતી સમાજનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. આ ટ્રેન્ડ આ બેઠક પર આ ચૂંટણીમાં ઉલટફેર સર્જીને રહેશે એવું સમજાઈ રહ્યું છે. સદામ બારાડીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા પક્ષમાં થતી અવગણના હદ વટાવી જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય કાલાવડ લઘુમતી મોરચાની બેઠકમાં લેવાયો હતો. આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મંત્રી આર.સી. ફળદુ,એ હાજર રહી કેશરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતા, આ તકે કાલાવડ વિધાનસભા બેઠક પરનાં ભાજપાનાં ઉમેદવાર મેઘજી ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા, તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી.ડાંગ રિયા, કાલાવડ શહેર ભાજપા પ્રમુખ હસમુખ વોરા, કાલાવડ લઘુમતી મોરચાના પ્રમુખ અયાઝ વંથરા, મોરચાનાં જિલ્લા મહામંત્રી મુરતુજા સાદીકોટ, મોરચાનાં પ્રદેશ કારોબારી સભ્ય મુનાફ ઓડિયા, કિશાન મોરચા ઉપપ્રમુખ અલી માંકડા, સહકારી દૂધ ઉત્પાદક મંડળીનાં ચેરમેન કાંતિ ગઢીયા, રાજેશ નંદાણિયા, શ્યામ કપૂરિયા તથા ઈમરાન બારાડી તથા લઘુમતી મોરચાના તમામ સભ્યો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં અને ભાજપાનાં ઉમેદવાર મેઘજી ચાવડાને જંગી બહુમતીથી વિજયી બનાવવા કોલ આપ્યો હતો.આમ ભાજપના મોડીરાત્રીના આ ઝટકાથી કોંગ્રેસની ઊંઘ હરામ થઇ ગઈ છે.