Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ સામે કેટલીય ફરિયાદો અને આક્ષેપો થતા રહે છે, તેમાં શહેરીજનો હોય શાશક પક્ષના કોર્પોરેટરો કે વિપક્ષના કોર્પોરેટરો કે પછી મીડિયા કેમ ના હોય..જો કર્મચારી કે અધિકારીઓનો દોષ હોય કામ કરવાની નીતિ ના હોય કટકી કરતા હોય તો તેની સામે પગલા લેવાવા જ જોઈએ પણ…આ જ મનપાના કેટલાય કર્મચારીઓ અને અધિકારીઓને આજકાલથી કે એકાદ વર્ષથી નહિ પરંતુ વર્ષોથી અન્યાય થઇ રહ્યો છે, અને અન્યાયને કારણે કેટલાય કર્મચારીઓ અને અધિકારીઓમાં આંતરિક રોષ ભભૂકી ઉઠ્યો છે, જો કે શિસ્તમાં રહેવું પડે કારણ કે સરકારી નોકરો છે, માટે ખુલીને બહાર આવીને કોઈ બોલી શકતું નથી પણ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ એવા કે જેમને વર્ષોથી અન્યાય થાય છે તેને ન્યાય મળે ત્યાં સુધી વાત પહોચે તે માટે my samachar દ્વારા આજે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે,
my samachar જયારે મનપાના અધિકારીઓ અને કર્મચારીઓની ભૂલ હોય ત્યારે ક્યારેય પણ કાન આમળવાનું ચુક્યું નથી અને ક્યારેય ચુકશે પણ નહિ….જેથી તેને તેની ફરજો અદા કરવાનું ભાન જો ભુલાઈ જતુ હોય તો my samachar એક પ્રહરીની ભૂમિકા અદા કરી આવા કર્મચારીઓ સામે પગલા લેવાય ત્યાં સુધીના અહેવાલો પણ પ્રસિદ્ધ કરશે પણ જયારે આ જ કર્મચારીઓની હિતની વાત આવશે તો તેની તરફેણમાં લખીને એક તટસ્થ માધ્યમની ભૂમિકા અદા કરવા જઈ રહ્યું છે,
જામનગર મનપામાં છેલ્લા કેટલાક વર્ષોથી સિનિયર અને લાયકાત ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સતત ને સતત કોઈને કોઈ કારણે અન્યાયનો ભોગ બની રહ્યા છે કે કોઈના ઇશારે બનાવવામાં આવી રહ્યા છે, અને સત્તાના જોરે લાલીયાવાડી ચલાવીને લગતા-વળગતાઓને પ્રમોશનો અને ખાસ જગ્યાઓનો ચાર્જ આપવામાં આવે છે અથવા દબાણ કરીને અપાવવામાં આવે છે જેનાથી લાયક મંજીરા વગાડતા રહી જાય છે,
જામનગર મનપામાં છેલ્લા કેટલાક વર્ષોથી સેટઅપના પ્રશ્નો, સિનીયોરીટીના પ્રશ્નો, રોસ્ટરના પ્રશ્નો, ભરતી બઢતીના પ્રશ્નો અન્વયે કર્મચારીઓ દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ આ રજુઆતો જે તે સમયના કમિશ્નરો દ્વારા અને જે-તે સમયના શાસકો દ્વારા જાણે કોઈ વજૂદ ના હોય તેમ રફે-દફે કરી પોતે જ સર્વસ્વ હોવાનો રૂઆબ બતાવતા આવ્યા છે, એટલુ જ નહિ, મુખ્યમંત્રી કાર્યાલયોમાં કરવામાં આવેલ ફરિયાદો કે રજૂઆતોનું પણ કઈ થતું નથી તે નરી વાસ્તવિકતા છે, તો કર્મચારીઓ અને અધિકારીઓ કકડતી આંતરડીએ કહે છે કે અમારો શું વાંક..?
ભૂતકાળમાં કેટલાક કિસ્સાઓમાં જે તે સમયના કમિશ્નરો અને નાયબ કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા કર્મચારીઓ કે અધિકારીઓ પોતાના હક્કને લગત રજુઆતો કરે ત્યારે તમે કોર્ટમા જાવ તેવા જવાબો આપવામાં આવે છે, જે નીચેના કર્મચારીઓ અને અધિકારીઓ સાંભળવા સિવાય કશું કરી શકતા નથી, અને જો કોઈ કર્મચારી કોર્ટમાં જાય તો તેને સ્વખર્ચ જયારે મનપાને તો મનપાના ખર્ચ અને વકીલો મળે છે આમ કર્મચારીઓ અધિકારીઓનો અહી પણ ખો નીકળી જાય છે,
જાણકાર અધિકારીઓ કર્મચારીઓ my સમાચારને માહિતી આપતા કહ્યું કે 30-30 વર્ષોથી જુનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ જુનીયર ક્લાર્ક તરીકે જ રીટાયર્ડ થઈ જાય છે.જયારે 15 વર્ષની નોકરીમાં આવેલ કર્મચારીઓને ૩-૩ પ્રમોશન કેમ? આ તે કેવી નીતિરીતી..? તેવો સવાલ અને આંતરિક રોષ કર્મચારીઓ અધિકારીઓમાં ઉભરો લઇ રહ્યો છે, ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓ અને વિભાગોમાં રોસ્ટર રજીસ્ટર, સિનીયોરીટી રજીસ્ટર સેટઅપ, ખાલી જગ્યા, ભરેલ જગ્યાઓ બધુ જ ઓનલાઈન મુકવામાં આવે છે. જયારે જામનગર મહાનગરપાલિકામાં આ તમામ બાબતોને કોઈના ચોક્કસ હિતોને ધ્યાને લઈને ખાનગી રાખવામાં આવે છે. કારણ કે જો આવું જાહેર થાય તો જાણકાર અધિકારીઓના મતે લાગત-વળગતાઓને પ્રમોશન ના આપી શકાય માટે આવી બાબતો ગોપનીય રાખીને ખેલાડીઓ ખેલ કરે છે અને જેને ન્યાય મળવો જોઈએ તેવો વર્ષોથી અન્યાયનો ભોગ બનતા આવ્યા છે,
પોતાનું નામ ના આપવાની શરતે કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓએ આપેલ માહિતી મુજબ છેલ્લા એકાદ વર્ષથી તો ચાર્જ આપવામાં પણ લાલીયાવાડી ચાલુ થઇ છે, કોનામાં ચોક્કસ પ્રકારની આવડત છે તેવા જ અધિકારીઓ કર્મચારીઓને લગડી ખાતાઓના ચાર્જ કોઈ લાયકાત વિના જ આપી દેવામા આવે છે, ભલે ને પછી સિનીયોરીટી અને લાયકાત ધરાવતા કર્મચારીઓ અધિકારીઓ મનપામાં હોય એ ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતું નથી અરે આટલુ જ નહિ કમિટી અને જનરલ બોર્ડના ઠરાવ થઈ ગયા હોય તેવા કેટલાક કિસ્સાઓમાં પણ પ્રમોશન ક્લીયર કરવામાં આવતું નથી તેના પણ ચોક્કસ કારણો હોવાનું જાણવા મળે છે, જામનગર મનપામાં એક પછી એક અધિકારી અને કર્મચારીઓ નિવૃત થતાં જાય છે.જેની સામે નવી ભરતીઓ કરવામાં આવતી નથી કે બઢતીઓ આપવમાં આવતી જ નથી.કા તો ચાર્જ આપી ગાડું ગબડાવામાં આવે છે અને કાતો પછી આઉટ સોર્સ પણ આપણા એ સારા તેમ કરીને લાગતા-વળગતાઓને રાખી અને વહીવટી પાંખ સાથે શાશક પાંખનું ચાલ્યા રાખે તેવી ચોક્કસ પ્રકારની ગોઠવણો બહારથી એક “આકા” ના ઈશારે મનપામાં કરવામાં આવે છે.
કર્મચારીઓ અને અધિકારીઓને થતા અન્યાય અને પ્રમોશન સહિતના મામલામાં કર્મચારી યુનિયનો દ્વારા અનેક વખત માંગણીઓ કરવામાં આવેલ છે.જેને પણ કમિશ્નરો દ્વારા ગણકારવામાં આવેલ નથી. હા અમુક કામ ચલાઉ પ્રમોશનો આપી મામલા પર ઠંડુ પાણી રેડી દેવાના અનેક પ્રયાસો થયા છે.તાજેતરમાં જ ખોટા પ્રમોશનો આપવા બાબતે અમુક કર્મચારીઓ દ્વારા કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. પરંતુ આ બાબતે હજુ સુધી કમિશ્નર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા હોય તેવું ધ્યાનમાં આવતું નથી, ખાસ તો રોસ્ટર બાબતે સિનીયોરીટી બાબતેની રજુઆતો ઘોળીને પી ગયેલ છે.એટલું જ નહિ સરકાર દ્વારા આ બાબતે સકારાત્મક કાર્યવાહી કરી રિપોર્ટ આપતા સૂચના આપેલ હોઈએ સૂચનાઓને પણ અહી કોઈ ગાંઠનાર નથી તેવું પ્રતીત થાય છે,
તાજેતરનો જ દાખલો લઈએ તો આસિસ્ટન્ટ કમિશ્નર ટેક્સ અને વહીવટનો ચાર્જ મધ્યાન ભોજન યોજનાના મામલદારને આપવમાં આવેલ છે, જે મનપાના કર્મચારીમાં નથી, આ જ પ્રકારે તો અનેક પોસ્ટો ઉપર સિનીયોરીટી અને લાયકાત ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓ હોવા છતાં ચાર્જ, પ્રમોશન બઢતી બદલીઓમાં કર્મચારીઓ અધિકારીઓ અન્યાયનો સામનો કરવા મજબુર બની રહ્યા છે,મનપામાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ખુબ જ અસંતોષની જવાળાઓ ભભૂકી રહી છે, અને કોઈ જ પ્રકારનું પ્રોત્સાહન આપતા ન હોઈ સમગ્ર કામગીરી ઉપર ખુબજ વિપરીત અસરો થઈ રહેલ છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ ને કે શાસકોને એની કઈ જ પડી નથી.મનપામાં મંજુર થયેલ 1200ના મહેકમની સામે 500 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે.જેમાંથી વર્ગ-4 ના કર્મચારીઓને બાદ કરતાં કાયમી કર્મચારીઓની સંખ્યા ૧૩૫ રહેવા પામે છે.તેમાં પણ મોટાભાગની જગ્યાઓ હાલ ખાલી છે.
એવામાં મનપામાં કેટલાક ચુંટાયેલાઓ, કેટલાક બહારના ખાટ સવાદીયાઓ, કેટલાક એક્ટીવિસ્ટોને, અને અમુક લાવો..લાવોને કારણે સારા-સારા અધિકારીઓએ કા તો સ્વૈચ્છિક રાજીનામાં મુકે છે કા તો કોઈ બહાનું આગળ ધરીને લાંબી રજા ઉપર ઉતરી અને આવા ત્રાસમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે, અમુક કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાના ઘરબાર સામે જોયા વગર દિન-રાત મનપામાં 30-30 વર્ષ ભોગ આપેલ છે એ કર્મચારીને સતત અન્યાય થવા છતાં કર્મચારીઓ ખુબજ હતાસ થઈ ગયેલ છે.અને આક્રોશ વ્યક્ત કરી કાકલૂદી કરે છે. કોઈક તો અમારું સાંભળો.
-આવી પોસ્ટો માટે ભરતી નહી…હાલ ઇન્ચાર્જ
મનપામાં મહત્વની કહી શકાય તેવી પોસ્ટો એટલે કે ચીફ ઓડીટર, સેક્રેટરી, આસી કમિશ્નર ટેક્સ , આસી કમીશનર વહીવટ, ટેક્સ ઓફિસર, ડે.ચીફ ફાયર ઓફિસર, ઓફીસ સુપ્રીટેન્ડન્ટ, ચીફ એકાઉન્ટ, સીનીયર ક્લાર્ક, ડેપ્યુટી ઈજનેરો, એમઓએચ, સિટી ઈજનેર, સબ રજીસ્ટર, સિક્યોરીટી ઓફિસર બધુ જ ચાર્જમાં ચાલે છે. ચાર્જ દેવામાં પણ સિનિયર અને લાયકાત ધરાવનારની અવગણના પ્રમોશન દેવામાં પણ સિનિયર અને લાયકાત ધરાવતા કર્મચારીઓ અધિકારીઓની અવગણના થાય છે જે બાબત મનપાના વહીવટ માટે સારી ના કહી શકાય…
-વર્ષે 900 કરોડનો વહીવટ છતાં વહીવટ આઉટસોર્શિંગ અને ચાર્જ પર…
વર્ષે 900 કરોડથી પણ વધુનું બજેટ ધરાવનાર મનપાનો વહીવટ આઉટ સોર્શિંગ અને ચાર્જ ઉપર ચાલે છે. આમાં કોર્પોરેશનમાં સારું કામ થઈ શકે શું? ઉપલા અધિકારી અને પદાધિકારીઓએ કામ કરતા કર્મચારી-અધિકારીઓને સારી સગવડો પૂરી પાડી પ્રોત્સાહીત થઈ ઉત્સાહથી કામ કરી શકે તેવું વાતાવરણ બનાવવું જોઈએ પણ કમનસીબે આવું મનપામાં દુર દુર સુધી થશે તેવું લાગતું નથી,
-નાના કમર્ચારી હોય તો તુરંત સસ્પેન્ડ પણ જેની સામે થોકબંધ પુરાવા તેને શિરપાવ
અરે હદ તો ત્યારે થઇ ગઈ કેહવાય કે સામાન્ય કર્મચારીઓનો વાંક હોય તો તુરત સસ્પેન્ડ કરી દેવામાં આવે અને જેની સામે થોકબંધ પુરાવાઓ રજુ થાય તેને માથા પર બેસાડી અને અધિકારીઓ અને પદાધિકારીઓ શું સાબિત કરવા માગે છે તેવો સવાલ કેટલાક અસંતુષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓને થઇ રહ્યો છે. હવે મનપામાં આંતરિક આગની જ્વાળાઓ ફાટી નીકળી છે તે દાવાનળ બને તે પહેલા જ ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો સૌએ સંકલન કરી અને લાયક અધિકારીઓ કર્મચારીઓને કઈ રીતે ન્યાય મળે અને મનપાનું અને શહેરનો વહીવટ સુચારુ રીતે ચાલે તે દિશામાં હકારાત્મકથી વિચાર કરી અને જરૂરી પગલાઓ ભરવા જોઈએ તેવી માગ ઉઠી છે.