Mysamachar.in-ગુજરાત:
ગત રોજ ધુળેટીનો દિવસ આમ તો રંગોનો ઉત્સાહનો પર્વ છે, પણ આ પર્વમાં જો ક્યાંક જરાક પણ ચુકી જવાઈ તો મોતનો ભેટો થાય છે, જો કે ગતરોજ નો ધુળેટીનો આ દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો હતો. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 16 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4, વાપીમાં 2, ભરુચમાં 2, ભાવનગરમાં 1 અને ખેડામાં 2 ડૂબ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ કિશોરોનો ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં છે. આ સમાચાર બહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચ મિત્રો ધુળેટી પર્વ પર નદીમાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન નદીના પાણીમાં ડૂબી ગયા હતા,
જયારે બીજી ઘટનામાં મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યાના સમાચાર મળી રહ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચાર માંથી ત્રણ યુવાનો મામા અને એક યુવાન ભાણીયો હોવાનું સામે આવ્યું છે. ત્રીજી ઘટનામાં ખેડા જિલ્લાના વસો તાલુકા ઝારોલ ગામેં બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ બન્ને બાળકોની ઉમર 14 અને 15 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે,
ચોથી ઘટનામાં ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો તણાયા હતા. બન્ને યુવાનના મૃતદેહોની શોધખોળ શરૂ કરાઈ છે. સુનીલ અને વિષ્ણું બંને યુવાનો નદીના પાણીમાં ગરકાવ થઇ ચુક્યા હોવાની ઘટના સામે આવી છે
તો વાપીના બે અલગ અલગ વિસ્તારમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નીપજ્યા છે. જયારે પાલીતાણા તાલુકાના મેઢા ગામ નજીક આવેલ કેનાલમાં બપોર બાદ એક યુવાન ડૂબી ગયો. કેનાલમાં ન્હાવા પડેલ યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ થતા યુવક ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદ સાંજના સમયે શોધખોળ બાદ કેનાલમાં ડૂબેલ યુવકનો મૃતદેહ મળી આવતા પાલીતાણા હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડવામાં આવેલ છે.