Mysamachar.in-જામનગર
જામનગર મરીન નેશનલ પાર્ક હસ્તકનો પિરોટન ટાપુ વિશાળ અને વૈવિધ્યસભર દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવતો હોય, હજારો સહેલાણીઓ અને પ્રકૃતિપ્રેમીઓ આ ટાપુની મુલાકાત લેવા ઇચ્છુક રહે છે પરંતુ એક વિચિત્ર કારણસર સહેલાણીઓ અને પ્રકૃતિપ્રેમીઓ આ ટાપુની સફર સરળતાપૂર્વક ખેડી ન શકે, એવી સ્થિતિ જોવા મળી રહી છે ! આવતીકાલે 16 ઓક્ટોબરથી ગુજરાત તથા દેશભરના તમામ નેશનલ પાર્ક દીવાળી વેકેશન ધ્યાનમાં રાખી પ્રવાસીઓ માટે ખોલવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓ પ્રવાસ માટે જાણીતા છે. પરંતુ જામનગર નજીકના પિરોટન ટાપુ પર સ્થિતિ અલગ છે. સૂત્રો જણાવે છે કે, આ ટાપુ પ્રવાસીઓ માટે બંધ જ રહેશે. કેમ કે, બોટચાલકો પ્રવાસીઓને ટાપુ પર લઈ જવા રાજી નથી !
જોવાની ખૂબી એ છે કે, વનવિભાગ બોટમાલિકો સાથે આ મુદ્દે MoU કરવા ઇચ્છે છે પરંતુ બોટમાલિકો આ વ્યવસ્થા શરૂ કરવા ઇચ્છતા નથી. બોટમાલિકો એમ કહે છે કે, વનવિભાગ સહેલાણીઓને દર પંદર દિવસમાં માત્ર ત્રણ જ દિવસ ટાપુ પર જવા પરવાનગી આપે છે. એ ત્રણ દિવસ દરમિયાન દરિયામાં ભરતીનો સમય નથી હોતો ! બોટમાલિકો વધુમાં જણાવે છે કે, આ ત્રણ દિવસ દરમિયાન વનવિભાગ દરરોજ માત્ર એકસો પ્રવાસીઓને ટાપુ પર જવા મંજૂરી આપે છે. એટલે કે, મહિનાનાં ત્રીસ દિવસ દરમિયાન વધુમાં વધુ માત્ર છસ્સો સહેલાણીઓ ટાપુ પર જઈ શકે. તેથી બોટમાલિકોને આ ધંધો પરવડે નહીં. યોગ્ય નફો અને કમાણી મળી ન રહેતાં બોટમાલિકો આ વ્યવસાય ઇચ્છતા નથી.
આ પ્રકારની સ્થિતિ ટાળવા મરીન નેશનલ પાર્કનાં અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક જોશી કહે છે: અમો આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ મળી આવે તે માટે પ્રયાસો કરી રહ્યા છીએ. ઓનલાઇન બોટ પરમિશન સહિતનાં વિકલ્પો વિચારી રહ્યા છીએ. અત્રે એ પણ નોંધનીય છે કે, આ ટાપુ પર પર્યટન વિકાસ ન થવાનું કારણ એ પણ છે કે, ટાપુ પર પહોંચ્યા પછી પ્રવાસીઓ માટે ભોજન મેળવવાની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત મોબાઇલ નેટવર્ક ન હોવાથી કોમ્યુનિકેશનની ગેરહાજરીને કારણે પણ પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ આ ટાપુની મુલાકાત લેવાનું ટાળતાં હોય છે.
આ ઉપરાંત અત્રે પાણીનું તાપમાન પ્રમાણમાં વધુ હોય છે જેને કારણે દરિયાઈ જીવો કિનારે આવતાં નથી, ઉંડા પાણીમાં ઠંડક મેળવવા જતાં રહે છે જેથી સહેલાણીઓને તથા પ્રકૃતિપ્રેમીઓને વૈવિધ્યપૂર્ણ દરિયાઈ જીવસૃષ્ટિ જોવાં મળતી નથી ! આ પ્રકારના વિવિધ કારણોસર ગત્ 10 માર્ચથી વનવિભાગે પ્રવાસીઓને ટાપુની મુલાકાત લેવા મંજુરી આપવાનું બંધ કરી દીધું છે. જેને કારણે આ ટાપુ પર પ્રવાસન વિકાસ અદ્રશ્ય થઈ ગયો છે.