Mysamachar.in-ગુજરાત:
સેન્ટ્રલ એકસાઈઝ, કસ્ટમ, ડીઆરઆઈ, પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સીજીએસટી, રેલ્વ, ટેલિફોન, પોસ્ટ સહિતની ઘણી કેન્દ્રીય તથા સુરક્ષા એજન્સીઓ એવી છે જેનાં નાનાં મોટાં અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર ગુજરાતમાં પથરાયેલા છે. જેમાં મોટાભાગના અધિકારીઓ પરપ્રાંતિય હોય છે. આ પ્રકારના કેન્દ્ર સરકારનાં વિભાગોમાં ભ્રષ્ટાચાર છે કે કેમ ? ભ્રષ્ટાચાર છે તો કેટલાં પ્રમાણમાં છે ?! અને, આ ભ્રષ્ટાચાર કોણ કરે છે ?! તથા આ પ્રકારના કથિત ભ્રષ્ટાચારને કારણે દેશની સુરક્ષા તથા અખંડિતતા સામે કોઈ ખતરો છે કે કેમ ?! વગેરે બાબતોની માહિતીઓ એકત્ર કરવા, તપાસવા તથા સંભવિત અપરાધીઓ સુધી પહોંચવા CBI ગુજરાતનાં કચ્છમાં આવી રહી છે. આ એજન્સીના અધિકારીઓ કચ્છનાં પાટનગર ભૂજમાં બે દિવસ રોકાશે અને સ્થિતિનો એકસરે મેળવવા મથશે, એ મતલબની જાહેરાત ખુદ CBI એ કરી છે.
આગામી પાંચ અને છ નવેમ્બરનાં રોજ સીબીઆઈનાં અધિકારીઓ ભૂજ સર્કિટ હાઉસ ખાતે બેસશે. સરકારનાં કેન્દ્રીય વિભાગોનાં અધિકારીઓનાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ અંગે લોકો પાસેથી વિગતો મેળવશે. કોઈ પણ વ્યક્તિ આધાર પુરાવા સાથે આ કેમ્પમાં રજૂઆત કરી શકશે. બંને દિવસો દરમિયાન, અરજદારોએ સવારે દસથી સાંજનાં છ વાગ્યા સુધીમાં ભૂજ સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ જવાનું રહેશે અને ત્યાં ભ્રષ્ટાચાર અંગેની વિગતો સીબીઆઈ નાં અધિકારીઓને આપવાની રહેશે.
સીબીઆઈની આ જાહેરાત અનુસંધાને કોઈ પણ વ્યક્તિ, કોઈ વધુ જાણકારી મેળવવા ઇચ્છતી હોય તો તે વ્યક્તિએ સીબીઆઈની ગાંધીનગર ખાતે આવેલી કચેરીનો રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરવાનો રહેશે. આ કચેરી ગાંધીનગરમાં એસીબી કચેરી ઈમારતમાં, સેકટર 10 ખાતે કર્મયોગી ભવનની સામે કાર્યરત છે, જેનાં ફોન નંબર અત્રે આપવામાં આવ્યા છે. ફોન નંબર: 079-23234301, 079-23233211-9978942501