Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં મહાશિવરાત્રીના દિવસે નગરચર્યા કરતાં દેવાધિદેવ શિવજીના શ્રી આશુતોષ સ્વરૂપની પ્રતિમા વિશેષ સુવર્ણ અલંકારોથી વિભૂષિત થઈ છે. ગઈકાલે શ્રાવણ મહિનાની પૂર્વ સંધ્યાએ રજતમંડિત શિવજીના તે સ્વરૂપને સોનાની પાઘ અર્પણ કરવામાં આવી છે.જામનગરમાં શિવ શોભાયાત્રામાં નગરજનોને દર્શન આપતી શિવજીની આ પ્રતિમાનું સંચાલન અને દેખરેખ શહેરના મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કરવામાં આવે છે. સંપૂર્ણપણે રજતમંડિત આ ચલિત આશુતોષ મહાદેવજી ના સ્વરૂપને ક્રમશઃ ભાવિક દાતાઓ તરફથી પ્રાપ્ત દાનની રકમમાંથી સુવર્ણ અલંકારોથી સુશોભિત કરવામાં આવી છે. સુવર્ણનું ડમરું, ત્રિશૂળ, છત્ર, શેષનાગ, ત્રિપૂંડ, જનોઈ, કુંડલ, સુવર્ણમઢિત રુદ્રાક્ષની માળા પછી આજરોજ તેમાં ઉમેરો કરી સોનાની પાઘ શિવપ્રતિમાને અર્પણ કરવામાં આવી છે.આજથી સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન દરરોજ આ મૂર્તિ નોંધાયેલા શિવભક્તોના નિવાસસ્થાને એક દિવસના દર્શનાર્થે રાત્રીમુકામ કરશે. ગઈકાલે શ્રાવણ મહિનાની પૂર્વ સંધ્યાએ શ્રીમાળી બ્રાહ્મણ સમાજની વાડીમાં યોજાયેલા કાર્યક્રમમાં સેંકડો નિમંત્રિત શિવભક્તોની ઉપસ્થિતિમાં સુવર્ણ પાઘનું શાસ્ત્રોક્ત પૂજન કરી શિવપ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂ. ચતુર્ભુજદાસજી મહારાજ, પૂર્વ રાજ્યમંત્રી અને શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ભાજપ શહેર અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, પક્ષના મહામંત્રીઓ પ્રકાશ બાંભણિયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, ઉદ્યોગપતિ જીતુ લાલ,અને મિતેશ લાલ, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર સુભાષ જોષી કેશુભાઈ માડમ પરાગભાઈ પટેલ, ગોપાલભાઈ સોરઠીયા, ધારાસભ્ય આરસી ફળદુના પી.એ. રાજુભાઈ, ઉપરાંત હકુભા જાડેજાના પી.એ. પ્રવિણસિંહ જાડેજા, બિલ્ડર ભરતભાઈ મોદી, ભરતભાઈ ફલીયા, સમસ્ત બ્રહ્મ સમાજના આશિષભાઈ જોશી, અને પ્રફુલભાઈ વાસુ, પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ એ.એસ.આઇ. યૂનુશ સમા,પી.આઈ. સલીમ સાટી, અલુપટેલ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી સમીર સારડા,ડૉ. કેયુર બક્ષી, બિલ્ડર નિલેશ ભૂતિયા,ઉપરાંત અન્ય નગરસેવકો નગરસેવિકાઓ, ધાર્મિક શોભાયાત્રાના સહયોગી શહેરના વિવિધ ધાર્મિક સામાજિક જ્ઞાતિ યુવક મહિલા મંડળો,શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ)ની આગેવાની હેઠળ મંડળના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.